સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વ વલ્લભ સ્વામીએ આમ આદમી પાર્ટી અંગે નિવેદન આપ્યા બાદ રાજનીતિમાં ચર્ચાનો મધપૂળો છેડાયો, સુરત આપના કાર્યકરોએ સ્વામીનું કર્યું સમર્થન
સુરતના વલ્લભ સ્વામીના પ્રવચનનો વીડિયો વાયરલ
AAP ગુજરાતમાં ઝાડુ ફેરવશેઃ સ્વામી
દિલ્લીથી સાવરણો ગુજરાતમાંથી આવે છે: સ્વામી
હાલ સુરતના વલ્લભ સ્વામીના પ્રવચન વીડિયો વાયરલ થયો છે. જેમાં તેમણે ચર્ચાસ્પદ નિવેદન કર્યુ છે. તેમણે એક પ્રવચનમાં કહ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઝાડુ ફેરવશે. દિલ્હીથી સાવરણો ગુજરાતમાં આવે છે, સાફ તો કરશે જ. સ્વામીએ ગર્ભિત રીતે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આપને સફળતા મળશે એવા સંકેત આપ્યા હતા. વલ્લભ સ્વામીએ રાજકારણની કરેલી વાતોને લઈને ભારે ચર્ચા જાગી છે. તેમણે ઓનલાઈન કથામાં રાજકીય વાતો કરી હતી. પોતાના પ્રવચનમાં તેમણે આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું.
વલ્લભ સ્વામીએ પોતાના પ્રવચનમાં વધુમાં કહ્યુ હતું કે, રાજકારણમાં ચૂંટણીઓ આવતી હોય છે. જતી હોય છે, પરંતુ ઘણી વખત વ્યક્તિ ચૂંટણીને લઈને પોતાનો રાગ દ્વેષ લાંબા સમય સુધી રાખતો હોય છે. જે ખરેખર યોગ્ય નથી. કોઈને રાહુલ ગાંધી ગમે, તો કોઈને કેજરીવાલ ગમે છે. રાગ - દ્વેષ ચૂંટણી પૂરતો હોવો જોઈએ. ત્યારબાદ તેને ભૂલી જવો જોઈએ.