કર્ણાટકના રાજ્યપાલ પદેથી વજુભાઈ વાળાને મુક્ત કરાયા બાદ તેમણે રાજકોટમાં રહેતા તેમના નજીકના મિત્રને પ્રથમ ફોન કર્યો હતો.
કર્ણાટકના રાજ્યપાલ પદેથી મુક્ત થતાં વજુભાઈએ મિત્રને કર્યો ફોન
ગુણુ ડેલાવાલા સાથે ફોનમાં વાતચીત
કહ્યું, 'હું રાજકોટ આવી રહ્યો છું'
'હેમુ ગઢવી હોલમાં ડાયરા જોવા જઈશું'
2014થી કર્ણાટકના રાજ્યપાલ તરીકે જવાબદારી સંભાળી રહેલા ગુજરાતના વતની વજુભાઈ વાળાને આજરોજ મુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કર્ણાટકના રાજ્યપાલ તરીકેની જવાબદારી થાવરચંદ ગેહલોતને જવાબદારી સોંપવામાં આવી છે.
મિત્રને વજુભાઈ વાળાએ કર્યો ફોન
રમજી સ્વભાવ ધરાવતા વજુભાઈ વાળાએ રાજકોટમાં રહેતા મિત્ર ગુણુ ડેલાવાલાને ફોન કરીને પોતે રાજકોટ આવી રહ્યા છે તેવી વાતચીત કરી હતી. આ સાથે જ તેમણે ગુણુભાઈને જણાવ્યું હતું કે, આપણે હેમુ ગઢવી હોલમાં ડાયરા જોવા જઈશું.
વજુભાઈ વાળાને કર્ણાટકના રાજ્યપાલ પદેથી કરાયા છે મુક્ત
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના વતની અને ભાજપના એક સમયના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાને કર્ણાટકના રાજ્યપાલ પદેથી મુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 2014થી કર્ણાટકના રાજ્યપાલ હતા. તેમની જગ્યાએ થાવરચંદ ગેહલોતની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નિમણૂક કરવામાં આવી છે.
મોદી કેબિનેટમાં વિસ્તરણની ચર્ચા વચ્ચે રાજ્યપાલોની રાષ્ટ્રપતિએ કરી નિમણૂક
મોદી કેબિનેટમાં વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે વિસ્તરણ પહેલા દેશના કેટલાક રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવી છે.
મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે ફરી એક વખત ગુજરાતના નેતા
મંગુભાઈ પટેલ ભાજપના મોટા નેતા છે અને 2014માં ગુજરાત વિધાનસભાના સ્પીકર પદે પણ રહી ચૂક્યા છે. મંગુભાઈ પટેલ આદિવાસી નેતા ગણાય છે અને તેઓ નવસારીથી ધારાસભ્ય પદે પણ રહી ચૂક્યા છે અને ગુજરાત સરકારના મંત્રી પણ રહી ચૂક્યા છે. હવે તેમની મધ્યપ્રદેશના 19મા રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં અગાઉ આનંદીબેન પટેલ રાજ્યપાલ રહી ચૂક્યા છે.