વૈષ્ણોદેવી એક પવિત્ર હિન્દુ મંદિર છે જે સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. આ મંદિર જમ્મુ અને કાશ્મીરમાં એક પહાડ પર આવેલું છે. કોરોના વાયરસને કારણે મંદિરને બંધ કરી દેવામાં આવ્યું હતું પરંતુ 16 ઓગસ્ટે મંદિરને ફરી એક વાર ખોલવામાં આવી રહ્યું છે. ભક્તો માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા આતુર છે ત્યારે આજે અમે તમને મંદિર વિશે કેટલીક વાતો જણાવીશું.
વૈષ્ણોદેવી મંદિર ફરી એકવાર ખુલશે
મંદિરની સ્થાપના 700 વર્ષ પહેલા થઇ
જમ્મુ-કાશ્મીરમાં સ્થિત છે આ મંદિર
માનવામાં આવે છે કે 700 વર્ષ પહેલા પંડિત શ્રીધરે વૈષ્ણોદેવી મંદિરનું નિર્માણ કર્યું હતું, શ્રીધર એક બ્રાહ્મણ પૂજારી હતા. શ્રીધરનું એક સપનું હતુ કે તે ભંડારો કરે અને તેમણે એક દિવસ નક્કી કરીને લોકોને પ્રસાદ લેવા માટે બોલાવ્યા. ભિક્ષા લેવા શ્રીધર ઘરે ઘરે ફર્યા પરંતુ મહેમાન વધી ગયા અને સામગ્રી ઓછી પડી.
જેમ જેમ ભંડારાના દિવસો નજીક આવતા ગયા તેમ શ્રીધરની ચિંતા પણ વધવા લાગી. તેને તે વાતની ચિંતા હતી કે આટલા બધા લોકોને તે જમાડી શકશે કે નહી. આ ચિંતાને કારણે તે સૂઇ પણ શકતો નહતો. જે દિવસે ભંડારો હતો તે દિવસે તેની ઝૂંપડી બહાર તે પૂજા કરવા બેસી ગયો અને મહેમાન પણ આવવા લાગ્યા હતા.
શ્રીધર ચિંતામાં હતો કે તે આટલા બધા લોકોને ભોજન કેવી રીતે કરાવશે, ત્યાં જ એક નાનકડી દીકરીને તેની ઝૂંપડીમાંથી બહાર આવતા જોઇ, તેનું નામ વૈષ્ણવી હતુ અને તે ખૂબ જ પ્રેમથી બધાને પીરસી રહી હતી. ભગવાનની કૃપાથી ભંડારો વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો. બાદમાં જ્યારે શ્રીધર તે નાનકડી દીકરીને મળવા ગયા ત્યારે તે ગાયબ થઇ ગઇ હતી અને થોડા દિવસો બાદ શ્રીધરના સપનામાં તે દીકરી આવી. ત્યારે શ્રીધરને ખબર પડી કે તે તો સાક્ષાત માતા વૈષ્ણોદેવી જ હતા. માતાએ શ્રીધરને ગુફા વિશે જણાવ્યુ અને ચાર દિકરાના આશીર્વાદ આપી અદ્રશ્ય થઇ ગયા.
તે બાદ શ્રીધરે ગુફા શોધી અને નિર્ણય કર્યો કે તેનુ સમગ્ર જીવન માતાની સેવામાં જ લગાવી દેશે. ખૂબ જ ઓછા સમયમાં આ ગુફા પ્રચલિત થઇ ગઇ અને આજે ભક્તો અહીં દર્શને આવે છે.