૯ માર્ચે હોળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે બદલાતા સમય સાથે હોળીની ઉજવણીની પદ્ધતિમાં પણ પરિવર્તન આવ્યું છે. લોકોમાં વૈદિક હોળી પ્રગટાવવાનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હોળીમાં લાકડાંને બદલે ગાયનાં છાણનાં ગૌકાષ્ઠ, છાણાં, કપૂર, હવન સામગ્રી અને ગાયનાં ઘીના ઉપયોગથી વૈદિક હોળી પ્રગટાવવા માટે અનેક સોસાયટીઓ પ્રેરિત થઇ રહી છે. વૈદિક હોળી દ્વારા લોકો વાતાવરણમાં પોઝિટિવ એનર્જી સાથે પ્રદૂષણ અને મચ્છરોના ઉપદ્રવ ઉપર અંકુશ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદના વૈદિક હોળીનો નવો ટ્રેન્ડ
પર્યાવરણ ફ્રેન્ડલી વૈદિક હોળીની વધતી બોલબાલા
માત્ર છાણા, દેશી ઘી, કપૂર સહિતની ચીજોનો થતો ઉપયોગ
દેશી ગાયનાં છાણાં-ઘીથી હોળી પ્રગટાવવાથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે. તેમજ વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા મરી જાય છે. લોકો તહેવારની ઉજવણીમાં પ્રકૃતિને નુકસાન પહોંચાડવાનું ટાળી રહ્યા છે. યુવાઓ વૈદિક હોળીના પ્રચાર-પ્રસાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે .
વૈદિક હોળી પ્રગટાવવાનો નવો ટ્રેન્ડ
હોળીનો તહેવાર શિયાળો અને ઉનાળાની ઋતુની વચ્ચે આવે છે. આ સમય દરમિયાન વાઇરસની સંખ્યા પણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. જેના કારણે બીમારીનું પ્રમાણ પણ વધે છે. વૈદિક હોળીમાં ગાયનું છાણ,ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી તેમજ નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાઇરસને નિયંત્રિત કરી શકાય છે. એટલું જ નહીં વૈદિક હોળી કરવાથી વૃક્ષો કપાતાં અટકે છે.
શું જરૂરી છે વૈદિક હોળી પ્રગટાવવા માટે
આઠ ફૂટની હોળી પ્રગટાવવા માટે દેશી ગાયનાં છાણાં - ૭૦૦ નંગ, ઘી- ૫૦૦ ગ્રામ, કપૂર - ૫૦૦ ગ્રામ, હવન સામગ્રી - ૫ કિલો, નવગ્રહ ઔષધિ, ૫ થી ૭ કિલો,જુદાં જુદાં પ્રકારનાં ધાન્ય - ૩.૫ કિલો, માટલું- ૧ નંગ અને શ્રીફળ - ૧ નંગ આટલો સામાન જોઈએ
લાકડાની થશે બચત
જોધપુર વિસ્તારમાં રહેતા સોસાયટીના હોળી આયોજકો કહે છે કે હોળીમાં લાકડાંના ઉપયોગ માટે સેંકડો વૃક્ષો કાપવાં પડે તેના કારણે ધુમાડો ઉત્પન્ન થાય છે. જ્યારે છાણાંનો ઉપયોગ કરવાથી લાકડાંનો વપરાશ અટકે છે.