વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં જૂથોમાં છેલ્લાં કેટલાંય સમયથી દેવપક્ષ અને આચાર્યપક્ષ વચ્ચે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે. સંપ્રદાયના આગેવાન સંતો અને હરિભક્તો દ્વારા આચાર્ય પક્ષ અને દેવપક્ષ વચ્ચે સમાધાન થાય તે માટેનાં સતત પ્રયાસો થઇ રહ્યાં હતાં.
બંને પક્ષનાં હરિભકતોની ટીમે કર્યો હતો સમાધાનનો પ્રયાસ
દેવપક્ષે સમાધાનથી પીછેહઠ કરી હોવાનાં આક્ષેપ
આચાર્ય પક્ષનાં માધ્યમથી વિવાદ અંગે ચોખવટ
ગાદી વિવાદ મામલે દેવપક્ષ (Dev Paksh) અને આચાર્યપક્ષ (Acharya Paksh) એમ બંન્ને પક્ષો વચ્ચે સમાધાન માટેની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે અંતે આ મામલે દેવપક્ષ-આચાર્ય પક્ષ વચ્ચેનાં સમાધાનની ફોર્મ્યુલા નિષ્ફળ ગઇ છે. એવાં આક્ષેપો લાગી રહ્યાં છે કે દેવપક્ષે સમાધાનથી પીછેહઠ કરી છે. આચાર્ય પક્ષે જાહેર વિજ્ઞાપ્તિનાં માધ્યમથી આ અંગે ચોખવટ કરી છે.
પહેલા બન્ને પક્ષ 2 મુદ્દે સમાધાન માટે તૈયાર થયાં હતાં. પરંતુ અંતમાં આ સમાધાન પડી ભાગ્યુ હતું. છેલ્લાં 17 વર્ષથી બન્ને જૂથો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વખતે બંન્ને પક્ષનાં 5-5 હરિભક્તોની ટીમ સમાધાનનો પ્રયાસ કરી રહી હતી અને આશા હતી કે સમાધાન થઈ જશે પરંતુ તેમાં અંતે નિષ્ફળતા મળી છે. જો કે બની શકે છે કે હજી પણ આ મામલે આગળ સમાધાન અંગે ચર્ચા થઇ શકે તેવી સંભાવના છે.
શું છે આ મામલો?
ઉલ્લેખનીય છે કે 1984માં અજેન્દ્રપ્રસાદની વડતાલનાં ગાદીપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. પરંતુ અજેન્દ્રપ્રસાદને દક્ષિણ દેશ વિભાગ સત્સંગ મહાસભા દ્વારા 31 જાન્યુઆરી 2003નાં દિવસે ગાદીસ્થાન પરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યાં હતાં. તેમનાં પર એવો આરોપ મૂકાયો હતો કે તેઓ નિયમ પ્રમાણે પાર્ષદોને દીક્ષા નથી આપતા તથા ચરણભેટ પણ જમા નથી કરાવતા.
દક્ષિણ ઝોન સત્સંગ મહાસભાએ એક ઠરાવ દ્વારા તેઓને પદ પરથી હટાવી દીધાં હતાં. બાદમાં અજેન્દ્રપ્રસાદ આ મુદ્દે કોર્ટમાં ગયા હતાં. 11 જૂનનાં રોજ થયેલી સુનાવણી વખતે ન્યાયાધીશ રજા પર હોવાથી આ કેસની સુનાવણી 22મી જૂન પર મુલતવી રાખવામાં આવી હતી. જે બાદમાં 16 જુલાઈની તારીખની મુદ્દત પડી હતી.
જો કે અંતે વડતાલ સ્વામિનારાયણ મંદિરની ગાદીપતિને લઇને ચાલી રહેલા વિવાદમાં રાકેશ પ્રસાદની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. પરંતુ હજી સુધી એ વિવાદ તો આચાર્ય પક્ષ અને દેવપક્ષ વચ્ચે ચાલી રહ્યો છે. જેમાં જૂના આચાર્ય જેઓ ગાદી પર હતાં તેમનાં હરીભક્તો અને વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં હરીભક્તો દ્વારા છેલ્લાં કેટલાંય સમયથી સમાધાનનાં પ્રયાસો ચાલતા હતાં પરંતુ અંતે આ સમાધાનની ફોર્મ્યુલા નિષ્ફળ નીવડી છે.