જમીન માફિયા ખેડૂતોની જમીન પચાવી પાડતા હોય છે. પરંતુ કોઈ શૈક્ષણિક સંસ્થાએ જમીન પચાવી પાડી હોય તેવું સાંભળ્યું છે. નહીં જ સાંભળ્યું હોય પરંતુ આવું જ કાંઈ વડોદરામાં સામે આવ્યું છે. જ્યાં જાણીતી બે યુનિવર્સિટીઓએ ખેડૂતોની જમીન પચાવી પાડી છે.
જમીન માફિયાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ પણ સામેલ
વડોદરાની બે નામચીન યુનિવર્સિટીઓએ દબાવી છે ખેડૂતોની જમીન
જમીન ખુલ્લી કરવા કલેક્ટરનો આદેશ
અત્યાર સુધી આપણે ભૂમાફિયાઓને ખનીજ ચોરી માટે કે અન્ય કોઈ રીતે હજારો વીઘા જમીન પચાવી પાડતા જોયા છે. પરંતુ શૈક્ષણિક સંસ્થાઓએ ખેડૂતોની અને સરકારી જમીન પર ગેરકાયદે કબજો કર્યો હોય તેવુ કદાચ વડોદરામાં પહેલી વખત સામે આવ્યું છે.
વડોદરાની જ જાણીતી સુમનદીપ વિદ્યાપીઠ અને પારુલ યુનિવર્સિટી વિવાદમાં સામે આવી છે. આ બંને યુનિવર્સિટીઓએ પણ ગેરકાયદે બાંધકામ કરીને જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
સુમનદીપનું ગેરકાયદે બાંધકામ?
સૌથી પહેલા સુમનદીપ વિદ્યાપીઠની વાત કરીએ તો સુમનદીપ વિદ્યાપીઠે રસ્તા પર આવતી 33 હજાર 350.97 ચોરસ મીટર જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યું છે. પીપળીયા ગામે ખેતરમાં જવાના રસ્તા પર વિદ્યાપીઠના મેનેશજગ ટ્રસ્ટી મનસુખ શાહે વાણિજ્ય, શૈક્ષણિક અને ધાર્મિક બાંધકામ ઉભું કર્યું છે. જેને લઈને બે વર્ષ પહેલા એક અરજદારે અરજી કરી હતી. અંતે અરજી પર જિલ્લા કલેક્ટર જાગ્યા અને ગેરકાદે બાંધકામ તોડી જમીન ખુલ્લી કરવાના આદેશ આપ્યા છે.
બીજી તરફ વડોદરાની જાણીતી પારુલ યુનિવર્સિટી સામે પણ જમીન પચાવી પાડવાના આક્ષેપ લાગ્યા છે. આ આક્ષેપ અન્ય કોઈએ નહીં પરંતુ ખુદ ભાજપ સરકારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે લગાવ્યા છે. આ સાથે જ તમણે કહ્યું કે, પારૂલ યુનિવર્સિટીએ જેપણ ખેડૂતોની જમીન દબાવી છે. તેને અમે ખુલ્લી કરાવીને રહીશું.
રામ રાજ પ્રજા દુઃખી આવી હાલત હાલ ગુજરાતની છે. કારણ કે, કોઈપણ માથાભારે આવે છે ખેડૂતોની જમીન ધાકધમકીથી પચાવી પાડે છે. બિચારો ખેડૂત કાંઈ કરી શક્તો નથી. ત્યારે સવાલ અહીં એ થાય છે કે, આ યુનિવર્સિટીઓ ખેડૂતોની જમીન કેવી રીતે પચાવી શકે છે? યુનિવર્સિટીઓએ જમીન બાંધકામ કરી લીધા ત્યાં સુધી તંત્ર ક્યાં ઊંઘતું રહ્યું? આ યુનિવર્સિટીઓ પર કોનો હાથ છે તે તંત્ર પણ કાર્યવાહી કરતા અચકાઈ છે? આવા જમીન માફિયાઓને કોણ અટકાવશે? સવાલો તો છે. પરંતુ તેના જવાબ હવે સરકારે અને અધિકારીઓએ આપવા પડશે. કારણ કે, સત્તા સરકારની છે. પાવર અધિકારીઓના હાથમાં છે. આમ નાગરીક તો અપીલ કરી શકે, વિરોધ કરી શકે પરંતુ ન્યાય તો સરકાર અને સરકારી બાબુઓ જ અપાવી શકે છે.