વડોદરાવાસીઓને બે દિવસ પાણી નહીં મળે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં બે દિવસ પાણીકાપ મૂકવામાં આવ્યો છે. પાણીની ટાંકી અને સંપની સાફ સફાઈને પગલે આ પાણીકાપ મૂકવામાં આવ્યો છે.
શહેરની તરસાલી પાણીની ટાંકી અને સંપની સાફ સફાઈ કરવાની હોવાથી બે દિવસ પાણીકાપ મૂકવામાં આવ્યો છે. પાણીકાપના પગલે દક્ષિણ વિસ્તારના અંદાજિત બે લાખ લોકોને સાંજે પાણી નહીં મળે. તો પશ્ચિમ વિસ્તારમાં પણ કેટલીક સોસાયટીઓમાં બે દિવસ પાણી નહીં મળે. પાણીની લાઈન શિફ્ટ કરવાની હોવાથી ગોરવા વિસ્તારમાં પણ પાણીની સમસ્યા રહેશે.
શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય ખરાબ થવાની ફરિયાદો ઉઠી છે. તો તરસાલીમાં પાણીની ટાંકી અને સંપની સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે. જેના કારણે વડોદરા શહેરના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારના લાખો લોકોને બે દિવસ તરસ્યા રહેવું પડશે. કારણ સાફ સફાઈની કામગીરી બે દિવસ સુધી ચાલે તેમ છે.
જોકે મહાનગરપાલિકા દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી દેવામાં આવતાં લોકોમાં પણ રોષ છે. તો ટાંકીમાંથી પણ દુર્ગંધ આવી રહી છે. સફાઈ કર્મચારીએ જણાવ્યું કે જ્યાં સુધી નિમેટાથી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય ત્યાં સુધી વારંવાર ટાંકી સાફ કરાવવાનો કોઈ મતલબ નથી.