અમદાવાદ, સુરત બાદ હવે વડોદરામાં પણ રાત્રી કર્ફ્યૂ લંબાવાયુ છે. વડોદરા શહેરમાં રાત્રિ કર્ફ્યુ હવે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. જાણો બીજો શું નિર્ણય લેવાયો...
ગુજરાતના મહાનગરોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે વડોદરામાં કોરોનાના વધતા કેસને લઇને OSD વિનોદ રાવે મહત્વની જાહેરાત કરી છે. વડોદરા શહેરમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 સુધી રાત્રી કર્ફ્યુ રહેશે. શનિ-રવિવારે તમામ મોલ-સિનેમા બંધ રહેશે. મહત્વનું છે અગાઉ રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધીનું હતું. જેને વધુ એક કલાક લંબાવાયું છે.
મહત્વનું છે કે, કોરોના મુદ્દે વડોદરા સર્કિટહાઉસમાં હાઈલેવલ બેઠક યોજાઇ હતી. આ બેઠક OSD વિનોદ રાવની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં મોલ, સિનેમામાં શનિવાર-રવિવારના દિવસે બંધ રાખવા અંગે નિર્ણય લેવાયો છે. ગઈકાલે ટ્યુશન કલાસીસ ,કોચિંગ કેમ્પ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. તો વડોદરા શહેરમાં મંગળ અને શુક્રવારી બજારમાં પાથરણા-લારી કોર્પોરેશને બંધ કરાવી હતી. બજારોમાં દુકાનો ચાલુ રાખવાના નિર્ણયથી રોષ જોવા મળ્યો છે. કોર્પોરેશનની બેવડી નીતિથી
સુરત અને અમદાવાદમાં આજથી રાત્રે 9થી સવારના 6 સુધી રાત્રી કર્ફ્યુ
ગઇકાલે અમદાવાદ અને સુરત શહેરમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. આજથી અમદાવાદ અને સુરતમાં રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. બન્ને શહેરોમાં તમામ મોલ અને સિનેમાગૃહો દર શનિ-રવિવારે સંપૂર્ણ બંધ રહેશે. અન્ય દિવસોમાં કોવિડ પ્રોટોકોલનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે. આ નિર્ણય સુરત મનપા અને અમદાવાદ મનપા દ્વારા લેવામાં આવ્યો છે.
સુરત અને અમદાવાદમાં સિટી બસ સેવા બંધ
સુરત શહેરના મેયર હેમાલી બોધાવાલાએ કહ્યું હતું કે, કોરોના સંક્રમણને અંકુશમાં લેવા માટે તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. સુરતમાં ગાર્ડન, જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા છે. સીટી બસ, BRTSને બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત વેક્સિનેશનની કામગીરી પણ ઝડપથી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ વિપક્ષે સત્તા પક્ષ પર ફક્ત ફક્તને તાયફા કરવાનો આક્ષેપ કર્યો હતો.
તો અમદાવાદ શહેરમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા AMTS અને BRTS બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. તો AMTS અને BRTS બંધ થતા મુસાફરો રઝળી પડ્યા છે. AMCના નિર્ણય સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રીક્ષાચાલકો બમણું ભાડુ વસૂલી રહ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગુજરાત કોરોના અપડેટ(18-3-2021):
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. રાજ્યમાં કોરોના સંકટ વધુ ઘેરાઇ રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. ગઇકાલે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1276 નવા દર્દી જ્યારે 899 દર્દીઓ સાજા થયાં છે. જ્યારે 3 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. સુરત શહેરમાં 324 કેસ અને ગ્રામ્યમાં 71 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 298 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 111 કેસ, જ્યારે ગ્રામ્યમાં 18 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 98 કેસ અને ગ્રામ્યમાં 15 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...