લોકોને જીવનની છેલ્લી આશા ડોક્ટર પાસે હોય છે પરંતુ જ્યારે કોઈ ડોક્ટરની બેદરકારીના કારણે કોઈનો જીવ જાય છે ત્યારે જીવન માટેની યાચના ક્યાં કરવી તેનું સરનામું જડતું નથી. ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીઓનો જીવ જતો રહેવો તે ઘટના વર્તમાન સમયમાં દાકતરી સેવા પર બિઝનેસ હાવી થઈ ગયો હોવાની સાક્ષી પૂરી રહ્યો છે. એમાંય જ્યારે કોઈ ડોક્ટરના હાથે નવજાત બાળકની માતાનું મોત થઈ જાય છે ત્યારે બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. જોઈએ આ અહેવાલ.
લુણાવાડા તાલુકાના મલેકપુરની 33 વર્ષીય ગીતાબેનને બીજી ડિલિવરી દરમિયાન લુણાવાડાની આરોહી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેમને સિઝરીયનઓપરેશન બાદ પુત્રને જન્મ આપ્યો હતો.
અહી સુધી બધું બરાબર હતું પરંતુ એક દિવસ બાદ ગીતા બેનને પેટમાં દુખાવો શરૂ થયો. તેણે તબીબનું ધ્યાન દોર્યું તો તબીબે બધુ નોર્મલ હોવાનું કહીને વાત ટાળી દીધી. વારંવાર પોતાના દર્દની ફરીયાદ કરવા છતાં હોસ્પિટલના ડોક્ટર શૈલા ભૂરિયાએ ધ્યાન ન આપ્યુ અને આ તરફ દર્દથી કણસતાં જ એક માતા મોતને ભેટી ગઈ.
એક તંદુરસ્ત માતાના મોત પાછળ ડોક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. કેમ કે જ્યારે ડોક્ટર ભૂરિયાના હાથમાંથી બાજી સરકતી લાગી તો તેણે ગીતાબેનને વડોદરા એસએસજી હોસ્પિટલ રિફર કરી દીધાં.
એસએસજી હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ કરી તો ખબર પડી કે સિઝરીયન વખતે એક ડોક્ટર દ્વારા ગીતા બેનના પેટમાં રૂ અને કપડાનો ટુકડો રહી ગયો હતો. જેના કારણે ગીતાબેનનું પેટ ફુલાઈ ગયું. બાદમા શરીરમાં પોઈજન થઈ ગયું. જેના કારણે ગીતાબેન મોતને ભેટયા હતા. ગીતાબેનના પિરવારને જ્યારે ડોક્ટરની બેદરકારીની જાણ થઈ તો પરિવારજનોમાં રોષ ફેલાઈ ગયો. મૃતકના પરિવારજનોએ જવાબદાર ડોક્ટર શૈલા ભૂરિયાની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.
લોકો તબીબને ભગવાન સમજીને તેની પાસે જતા હોય છે ત્યારે અહીંતો તબીબીની ગંભીર બેદરકારીના કારણે બે બાળકો એ માતા માતા ગુમાવવી છે અને એક પિતાનો સંસાર નંદવાઈ ગયો છે. ગીતાબેનના પરિવારને તબીબી શૈલા ભુરીયાએ અંધારામાં રાખ્યા હતા. પરિવારજનોમાં હાલ ડોક્ટર વિરુદ્ધ રોષ વ્યાપ્યો છે. ત્યારે લુણાવાડા પોલીસ વડોદરા એસએસજી હોસ્પિટલ આવીને તબીબી વિરુદ્ધ ગુનો દાખલ કરીને પરિવારજનોને મૃતદેહ સ્વીકારવા માટે સમજાવટ કરી છે.
આ એક કિસ્સામાં નહી પરંતુ આવા તો અનેક કિસ્સામાં તબીબોની ગંભીર બેદરકારીના કારણે દર્દીઓ મોતને ભેટયા છે. છતા પણ તબીબી આલમમા જાણે કે સંવેદના મરી પરવારી હોય તેમ દરમહિને એકાદ કિસ્સો તો પ્રકાશમાં આવતો જ જાય છે. આખરે આ સિલસિલો ક્યારે અટકશે.