વડોદરામાં રહેતો એક શિક્ષક પરિવાર એકાએક છેલ્લા 6 દિવસથી ભેદી રીતે ગુમ થઇ ગયો છે. આથી, શિક્ષકના ભાઇએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી.
વડોદરામાં રહેતો શિક્ષક પરિવાર ભેદી રીતે ગુમ
પતિ-પત્ની અને બે સંતાનો સાથે પરિવાર ગુમ
બે દિવસથી ભાળ ન મળતા શિક્ષકના ભાઈએ કરી ફરિયાદ
વડોદરાના ડભોઇનો જોષી પરિવાર છેલ્લા 6 દિવસથી ગુમ હોવાની ઘટના સામે આવી છે. 4 વ્યક્તિ ધરાવતો પરિવાર ગુમ થતા હાલ શોધખોળ હાથ ધરાઇ છે. શહેરની કપુરાઇ ચોકડી ખાતે રહી પરિવાર પોતાનું ગુજરાન ચલાવતા હતા.
પરિવારમાં 4 લોકો લાપતા
પરિવારના મોભી કહેવાતા રાહુલ જોષી હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પરિવારમાં પત્ની નીતા, પુત્ર પાર્થ અને પુત્રી પરી મળીને 4 લોકો લાપતા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે ભાઇ પ્રણવ જોષીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોતાના ભાઈના પરિવારને શોધી આપવા તેઓએ સોશિયલ મીડિયા ઉપર તેઓએ અપીલ પણ કરી છે. પોલીસે ગુમ થયાની ફરિયાદ લઇને પરિવારની શોધખોળ હાથ ધરી છે.
વડોદરાનો જોષી પરિવાર છેલ્લા 6 દિવસથી ગુમ છે. ત્યારે તેમના સગા-સંબંધીઓ અને પોલીસ તેઓના કાન્હા હાઇટ્સ ખાતે પહોંચી હતી. જ્યાં તેમના પાડોશીઓએ નિવેદન આપતા કહ્યું કે, 'લોકોનું આર્થિક સંકડામણ હોવાનું કહેવું છે, ફ્લેટના સભ્યો પાસેથી પણ તેઓએ રૂપિયા લીધા હતા.'
રાહુલ જોષીના ફલેટ સામે 29 લાખની લોન લેવાઈ હતી
શહેરના ડભોઈ રોડ પર આવેલા કપુરાઈમાં રહેતા એક શિક્ષક પરિવાર સાથે ભેદી સંજોગોમાં એકાએક ગુમ થઇ જતાં સગાં-સંબંધીઓમાં ભારે ચિંતા પ્રસરી છે. આથી, મોટા ભાઈએ પાણીગેટ પોલીસને જાણ કરતાં પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરી છે. તેઓની કૉલ ડિટેલ્સના આધારે હાલ તપાસ હાથ ધરાઇ રહી છે. કપુરાઈ ચોકડી પાસે કાન્હા આઈકોનમાં રાહુલ જોશી, પત્ની નીતાબેન, પુત્ર પાર્થ અને પુત્રી પરીબેન રહેતા હતા. મૂળ ભાવનગરના દૂધાળાના વતની રાહુલ જોષી સ્કૂલમાં હંગામી શિક્ષક હતા અને તેઓ ટ્યુશન પણ કરાવતા. તેમના ફલેટ સામે 29 લાખની લોન લેવાઈ હતી કે જે કપુરાઈ પાસે હોટલ ધરાવતા નિરવના નામે લેવાઈ હતી.
ફરિયાદ બાદ હવે પોલીસ તપાસમાં જોતરાઇ
આથી, બંને જણાં 50-50 ટકા હપ્તા ભરતા હતા. ગત મંગળવારે રાહુલ જોશીના મોટા ભાઈ પ્રણવ જોષી (ડભોઈ) ના ફોન પર સંબંધીઓએ કોલ કર્યા હતા કે, 'રાહુલ જોષીનો ફોન નથી લાગતો.' આથી ભાઈ પ્રણવ જોષી વડોદરા દોડી આવ્યા અને રાહુલના ઘેર પહોંચતા જ તેઓનું ઘર બંધ હતું. ત્યાર બાદ પ્રણવ જોષીએ પાણીગેટ પોલીસને રાહુલ જોશીનો પરિવાર ગુમ થયો હોવાની અરજી આપી હતી. આ મામલે પાણીગેટના PSI આર. એચ. સિદ્દીએ જણાવ્યું કે, જે ફલેટમાં શિક્ષક રહેતા હતા. તેમના મકાન સામે 29 લાખની લોન ચાલુ છે કે જે નિરવના નામે છે. તેની હાલ પૂછપરછ કરાઈ રહી છે, પરંતુ ફરીવાર તેની પૂછપરછ હાથ ધરાશે.