વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારની અબજો રૂપિયાની સ્થાવર-જંગમ મિલકતનો વિવાદ ફરી શરૂ થયો છે. વડોદરાના મૂળ રાજવીના પરિવારના વારસદારોએ કોર્ટમાં એક લાખ કરોડ રૂપિયાનો દાવો દાખલ કરી મિલકતોનો 50 ટકા ભાગની માંગણી કરી છે. આ મામલે દિલજીતસિંહ ગાયકવાડના વકીલે પત્રકાર પરિષદ યોજી હતી.
રાજવી પરિવારના દિલજીતસિંહ ગાયકવાડે મોટા આરોપ લગાવ્યા
હાલના રાજવી પરિવાર બની બેઠેલા છેઃ દિલજીતસિંહ
વડોદરાના રાજવી પરીવારની એક લાખ કરોડની પ્રોપર્ટીમાં સીધીલીટીના વારસદાર હોવાના દાવા સાથે ફરી વિવાદ શરૂ થયો છે. સયાજી ઘરાનાની કરોડોની સંપત્તિને લઇને ભાઇઓ વચ્ચે વર્ષોથી વિવાદ બાદ વર્ષ 2013માં સમાધાન થયું હતું. એ પ્રમાણે પ્રોપર્ટીની વહેંચણી પણ થઇ ગઇ હતી. જો કે હવે આ વહેંચણી યોગ્ય રીતે ન થઇ હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો છે.
વર્તમાન રાજવી વંશજો દત્તક લીધેલા છે અને અમારા અસીલ મુળ માલિક છેઃ દલજીતસિંહના વકીલ
2010માં લેન્ડ રેફરન્સના આધારે વારસદાર તરીકે કલેકટરે આદેશ કર્યો છે. તેના આધારે વારસાઈ નોંધ પાડવા વારંવાર રજુઆત કરી છે. તેમ છતાં સીટી સર્વેમાં નોંધ પાડતા નથી. વારંવાર મુદતો પાડવામાં આવી રહી છે ત્યારે ગોવિંદરાવ ગાયકવાડના વંશજ દલજીતસિંહ ગાયકવાડ આ મામલે લડત લડી રહ્યાં છે ત્યારે આ વિવાદ ફરી શરૂ થયો છે. દલજીતસિંહના વકીલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે, વર્તમાન રાજવી વંશજો દત્તક લીધેલા છે અને અમારા અસીલ મુળ માલિક છે. સીધી લીટીના વારસદાર છે તેવો દાવો કરવામાં આવ્યો છે. હાલ રાજવી સમરજીતસિંહ ગાયકવાડ દત્તક પુત્ર છે.
રાજવી પરિવારના દિલજીતસિંહ ગાયકવાડે મોટા આરોપ લગાવ્યા
રાજવી પરિવારના દિલજીતસિંહ ગાયકવાડે મોટા આરોપ લગાવ્યા છે. રેવન્યુ રેકર્ડમાં ગોલમાલ કરી હોવાના આક્ષેપો કરતાં ખળભળાટ મચ્યો છે. દિલજીતસિંહે જણાવ્યું હતું કે અમે સીધા વારસદાર તરીકે આજે પણ વારસાથી વંચિત છીએ. પેલેસના જમીન સંપાદનના નાણાં પણ મળ્યા નથી. રેવન્યુ અધિકારીઓ ગાંઠતા ન હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે. દિલજીતસિંહે કહ્યું હતું કે, અકોટાની જમીન સંપાદનના 19 કરોડ રૂપિયા આવ્યા હતા. જેના અડધા રૂપિયા 7 કરોડ હજુ સુધી ન મળ્યાનો દાવો પણ કર્યો છે. તેમને અનેક વખત રેવન્યુ અધિકારીઓને રજૂઆત કરી, પરંતુ રેવન્યૂ અધિકારીઓ તેમને ગાંઠતા ન હોવાનું જણાવ્યું છે. વકીલ દ્વારા પણ નિવેદન સામે આવ્યું છે કે, હાલના રાજવી પરિવાર બની બેઠેલા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાના રાજવી પરિવારની મિલકતનો વિવાદ હવે જગજાહેર થઈ ગયો છે. રાજમહેલની મિલકતોની માલિકી મામલે આક્ષેપ પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. રાજવી પરિવારના દિલજીતસિંહ ગાયકવાડે આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે, બરોડા સ્ટેટમાં રાજવી પીલાજીરાવ ગાયકવાડ શાસનમાં હતા. તેમના પુત્ર ગોવિંદરાવને બ્રિટિશ શાસનમાં તડીપાર કરાયા હતા. બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા સર સયાજીરાવ ગાયકવાડને દત્તક લેવાયા હતા. જેથી ગાયકવાડ પરિવારના સીધા વારસદાર દિલજીતસિંહ ગાયકવાડ વારસાથી વંચિત રહ્યા છે અને આજે તેમનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.