વડોદરામાં ગુડ ગવર્નન્સ ઓફ અર્બન ડેવલોપમેન્ટ કાર્યક્રમમાં વડોદરા શહેરના, નગરપાલિકાના અને વુડા વિસ્તારના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અધિકારીઓને ટોક્યા હતા.
ભ્રષ્ટાચાર ત્યારે જ દૂર થઈ શકે જ્યારે સત્તાપર બેઠેલા નેતાઓ એક્શન મોડમાં આવે અને જનતાના પ્રશ્નો અને સમસ્યાઓને સાંભળે. કદાચ આજ દીશામાં મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આગળ વધી રહ્યા છે. જેમણે થોડા દિવસો અગાઉ અમદાવાદ બાદ આજે દહેગામ મામલતદાર કચેરીમાં રેડ કરી હતી. જેના કારણે અધિકારીઓમાં ફફડાટ મચી ગયો હતો. ત્યારે હવે વડોદરામાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સૂચક નિવેદન આપ્યું છે.
રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, કામ ન કરતા અધિકારીઓને કામ કરતા કરવા એ સરકારનો ધ્યેય છે. લોકોના ટેક્ષના પૈસાથી સરકાર ચાલે છે. અધિકારીઓને લોકોના ટેક્ષના પૈસાથી પગાર મળે છે. કલેક્ટર ઓફિસમાં આવેલા સામાન્ય વ્યક્તિની મદદ કરો.
તેમણે કચ્છના ભૂકંપ ગ્રસ્ત લોકોને મદદ કરવા અંગે કહ્યું કે, 2001ના ભૂકંપમાં મકાનો ગુમાવનારને મકાનો બનાવી આપ્યા છે. હજુ કેટલાય લોકોના મકાનો તેમના નામે થયા નથી. મંત્રી બનતાની સાથે જ કચ્છમાં ગરીબોને મકાન આપવાનું નક્કી કર્યું છે. કલેક્ટર પાસે 22 હજાર મકાનોની વિગતો મંગાવી છે. વહેલી તકે તમામના નામે મકાનો થાય તેવો પ્રયાસ છે. કલેક્ટર ઓફિસમાં કોઇ તકલીફ પડે તો જાણ કરજો. તાત્કાલિક પગલા લેવામાં આવશે.