વડોદરાનાં ધારાસભ્ય યોગેશ પટેલને લોકસભાની સીટ આપવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે યોગેશ પટેલને મંત્રી પદ આપવામાં આવતા સમીકરણો બદલાયાં છે. હવે રાજેન્દ્ર ત્રિવેદીને પણ વડોદરા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડોદરા કોંગ્રેસ પ્રદેશ કક્ષાનાં નેતાઓ ભાજપમાં પ્રવેશ કરી શકે છે. કોંગ્રેસનાં મધ્ય ગુજરાતનાં દિગ્ગજ નેતાઓને ભાજપમાં લાવવામાં આવે તેવી શક્યતાઓ છે.
મહત્વનું છે કે, રાજેન્દ્ર ત્રિવેદી હાલમાં વિધાનસભાનાં અધ્યક્ષ છે અને તેઓ વડોદરામાં પ્રભુત્વ ધરાવે છે અને વડોદરા બેઠક પર ભાજપ જીત મેળવવા માટે રાજેન્દ્ર ત્રિવેદીને લોકસભાની ચૂંટણી લડાવી શકે છે. કોંગ્રેસનાં મધ્ય ગુજરાતનાં દિગ્ગજ નેતાને ભાજપમાં લવાય તેવી શક્યતા છે. પાટીદાર ઉમેદવાર સામે પાટીદાર ઉમેદવારને ઉતારવા ભાજપનો પ્લાન હોવાંની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે આજે ગુજરાતની રૂપાણી કેબિનેટમાં ત્રણ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જવાહર ચાવડા, યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને મંત્રી પદ આપવામાં આવેલ છે. ત્રણેય નેતાઓએ આજે રાજભવનમાં શપથ લીધાં છે. આ દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર રહ્યાં હતાં.
આ મંત્રીમંડળને લઇને ડે. સીએમ નીતિન પટેલે નિવેદન આપતાં જણાવ્યું કે, મંત્રીમંડળમાં 3 મંત્રીઓનો ઉમેરો કરાયો છે. આ મંત્રીમંડળમાં એક કેબિનેટ મંત્રી અને બે રાજ્યમંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જવાહર ચાવડાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યાં અને યોગેશ પટેલ તેમજ હકુભા જાડેજા (ધર્મેન્દ્રસિંહ જાડેજા)ને રાજ્યકક્ષાનાં મંત્રી બનાવવામાં આવ્યાં છે.
જેથી મહત્વનું છે કે અગાઉ એવી ચર્ચાઓ વહેતી થઇ હતી કે વડોદરાનાં ધારાસભ્ય યોગેશ પટેલને લોકસભાની સીટ આપવામાં આવશે પરંતુ યોગેશ પટેલને મંત્રીપદ આપવામાં આવતા સમીકરણો કંઇક બદલાઇ ગયા છે. ત્યારે હવે રાજેન્દ્ર ત્રિવેદીને વડોદરા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવવામાં આવે તેવી ચર્ચાઓ વહેતી થઇ છે.