ગુજરાતમાં ગુંડા તત્વોનો ત્રાસ દિવસને દિવસે વધી રહ્યો છે. ગુનાઓ કરીને આવા આરોપીઓ જેલમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે. જોકે આ ગુંડાઓ જેલમાં પણ હત્યા જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. વડોદરાની સેન્ટ્રલ જેલમાં એક ખૂની ખેલ ખેલાયો હતો. જેલમાં જ કુખ્યાત અજ્જુ કાણીયાની હત્યા કરવામાં આવી હતી. ત્યારે હવે આ હત્યામાં સંડોવાયેલા આરોપી સાહિલ(સુનીલ)ની ધરપકડ કરવામાં આવી છે.
જેલમા વર્ચસ્વ જમાવવાની બાબતમાં થઈ હતી અજ્જુ કાણીયાની હત્યા
40 વધુ ગુનાઓમાં સંડોવાયેલા અજ્જુ કાણીયા વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ સેન્ટ્રલ જેલમાં રહેલા હત્યાના મુખ્ય આરોપી સુનીલ ઉર્ફે સાહિલ પરમારે અજ્જુ કાણીયાની હત્યા કરી હતી. જેલના અંડર ટ્રાયલ બેરેક નંબર 12માં અજ્જુ કાણીયાને ગળાના ભાગ પર લોખંડની પટ્ટી મારી હત્યા કરી હતી. સુનિલની સાથે અન્ય પણ તેના સાગરિતો હત્યામાં સામેલ હતા. જેથી મહાશિવાલિંગમ, સુનીલ અને કિરણ બોડીયોની ત્રિપુટી ભેગી થયા બાદ હત્યા થઇ હતી.
ત્યારે હવે વડોદરા સેન્ટ્રલમાં અજ્જુ કાણીયા હત્યામાં સંડોવાયેલા સુનિલ ઉર્ફે સાહિલ પરમારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સુનિલના અન્ય સાગરીતોની પણ ધરપકડ કરશે. જેલમાં વર્ચસ્વ જમાવવાની બાબતમાં અજ્જુ કાનીયાની હત્યા થઈ હતી. જેલમાં બંધ ત્રણ શખસો સામે હત્યાની ફરિયાદ નોંધાઇ છે.
અજ્જુ મને ઉતારી પાડતો હતો અને ગાળ બોલ્યો તો સહન થયું ન હતુંઃ આરોપી સુનિલ
આરોપી સુનિલે આ અંગે જણાવ્યું હતું કે, જેલમાં એકાદ મહિનાથી અજ્જુ આવ્યો હતો અને ત્યારથી જ તેની ભાઇગીરી શરૂ થઇ ગઇ હતી. તે નાની નાની વાતમાં તેને ઉતારી પાડતો હતો. સોમવારે સવારે પણ બોલાચાલી થતાં અજ્જુ ગાળ બોલ્યો હતો જે તેનાથી સહન થયું ન હતું. સુનિલે કહ્યું હતું કે, અજ્જુ આંખ નીચી રાખીને વાત કરવાનું અને પગ દબાવવાનું કહેતો હતો. અજ્જુ કાયમ અપમાનિત કરતો હતો. તેની ભાઇગીરી સહન ન થતાં હુમલો કર્યો હતો.
સેન્ટ્રલ જેલના બેરોક નંબર 12માંથી આરોપીઓને અલગ બેરેકમાં ખસેડાયા
ભરૂચમાં પાંચ વર્ષ અગાઉ RSSના અગ્રણીઓની હત્યાની ઘટનામાં મોસીન પઠાણ જેલની સજા ભોગવી રહ્યો હતો. તે સેન્ટ્રલ જેલની બેરોક નંબર 12માં યાર્ડ નંબર 12માં જ રહેતો હતો. તેની સાથે હૈદર મહમંદ હનિફ શેખ, ફિરોઝ વઝિર મીંયા શેખ, અઝરૂદ્દીન ઉર્ફે અજ્જુ કાણીયો તથા પાસામાં પકડાયેલ એક પાટીલ નામનો મરાઠી છોકરો એમ કુલ 5 લોકો આ બેરેકમાં રહેતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જેલમાંથી આફતાબ ઉર્ફે શિવા ઉર્ફે મહાલિંગમને થોડા સમય અગાઉ જ વડોદરાની સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરાયો હતો. અમદાવાદમાં માથાભારે ખંડણીખોર ગણાતા આફતાબની વડોદરા જેલમાં એન્ટ્રી થયા બાદ વર્ચસ્વ કે પછી અન્ય કોઇ મુદ્દે બબાલ શરૂ થઈ ગઇ હતી. આફતાબ અને અજ્જુ કાણીયા વચ્ચે પણ મગજમારી શરૂ થઈ ગઈ હતી. આફતાબ, સુનિલ અને કિરણ બોડિયો એક તરફ હતા અને બીજી તરફ અજ્જુ કાણીયો અને તેના સાગરિતો હતા. મહત્વનું છે કે, સુનિલ અછોડા તોડ હતો. સુનિલે એક મહિલાનો અછોડો તોડ્યો હતો. આ દરમિયાન આ મહિલા સ્કુટર પરથી પટકાતા તેનું મોત નિપજ્યુ હતુ. જે ગુનામાં તે જેલવાસ ભોગવી રહ્યો હતો.
બન્ને ગુનેગારો વચ્ચે જેલમાં તકરાર થયેલી તકરાર અંતે લોહીયાળ જંગમાં પરિવર્તિત થઇ હતી. હત્યાના આરોપી સુનિલ પરમારે અજ્જુ કાણીયાની હત્યા કરી હતી. હત્યાની ઘટના બાદ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. બાદમાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.