અમદાવાદના ૩૫ વર્ષના બ્રેઇનડેડ અંગદાતા રાહુલ સોલંકીના અંગદાનથી વડોદરાના દર્દીને નવજીવન મળ્યું છે.
હૃદયના પ્રત્યારોપણથી દર્દીને મળ્યું નવજીવન
19 વર્ષથી હૃદયની તકલીફ સામે કણસતા વડોદરાના દર્દી બન્યા પીડામુક્ત
બ્રેઇનડેડ યુવાનના બે કિડની, એક લીવર અને હૃદયનું દાન મળ્યું
છેલ્લા 19 વર્ષથી હૃદયની તકલીફ સામે કણસતા વડોદરાના 53 વર્ષના દર્દીની પીડાનો અંત આવતા તેમના જીવનમાં સોનાનો સૂરજ ઊગ્યો છે. વર્ષ ૨૦૦૩ થી હૃદયની તકલીફથી પીડાઇ રહેલા દર્દી અંગદાન થકી મળેલા હૃદયથી આખરે પીડામુક્ત બન્યા છે. વર્ષ ૨૦૦૩ માં હૃદયના ડબલ વાલ્વની સર્જરી કરાવી હતી. સમય જતા દર્દીનું હૃદય નબળું પડવા લાગ્યું હતું અને છેલ્લા કેટલાય સમયથી આ દર્દીનું હૃદય ફક્ત ૧૦ ટકા જ કામ કરી રહ્યું હતુ. આથી દર્દીએ લાંબુ જીવવાની આશા પણ છોડી દીધી હતી. તેવામાં આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૩૫ વર્ષના બ્રેઇનડેડ અંગદાતા રાહુલ સોલંકીના અંગદાનમાં મળેલા હૃદયના પ્રત્યારોપણથી દર્દીને નવું જીવન મળ્યું છે.
બ્રેઇનડેડ રાહુલ સોલંકીના અંગદાનમાં હૃદય, બે કિડની અને લીવરનું દાન મળ્યું
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષના રાહુલભાઇ સોલંકીને ૧૦ મી જુલાઇના રોજ માર્ગ અકસ્માત નડ્યો હતો. જેથી તેને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પાંચ દિવસની જબરી જહેમત બાદ તબીબો દ્વારા રાહુલભાઇને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. નોંધનિય છે કે, રાહુલભાઇના પરિવારના મોટા ભાગના સદસ્યો પોલીસમાં સેવા આપી ચૂક્યા છે. રાહુલ પોતે પણ સરકારી નોકરી મેળવીને દેશ સેવાના સ્વપ્ન સેવી રહ્યા હતા. આથી સેવાભાવી પરિવારજનોએ બ્રેઇનડેડ રત્નના મૃત્યુ બાદ અન્યને મદદરૂપ થવાના ભાવ સાથે અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. ત્યારબાદ રાહુલના અંગોના રીટ્રાઇવલની કામગીરી સવારે ૩ વાગ્યે શરૂ થઇ હતી. ૬ થી ૭ કલાકના અથાગ પરિશ્રમ બાદ બે કિડની, એક લીવર અને હૃદયનું દાન મળ્યું હતું.
મુખ્યમંત્રી રાહતફંડમાંથી રૂ.૭.૫ લાખની મળી સહાય
અંગદાનમાં મળેલા હૃદયને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ માટે લઇ જવામાં આવ્યા હતા અને સીમ્સ હોસ્પિટલમા દાખલ વડોદરાના ૫૩ વર્ષના પુરુષની ૫ કલાકની સફળ સર્જરીના અંતે સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. સીમ્સ હોસ્પિટલમાં તબીબો દ્વારા જણાવ્યા અનુસાર દર્દીની ડબલ વાલ્વ રીપ્લેસમેન્ટ સર્જરી થઇ હોવાના પરિણામે રીડુ પ્રકારની આ સર્જરી અત્યંત પડકારભરેલી બની રહી હતી. ૧૦ તબીબોની ટીમના અથાગ પરિશ્રમના પરિણામે આ સર્જરીમાં સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હૃદય પ્રત્યારોપણ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પણ રૂ. ૭.૫ લાખની સહાય મળી છે.