વડોદરામાં આવેલ આવાસ યોજનામાં દુર્ઘટના ઘટી હતી. શહેરના કિશનવાડી સ્થિત નૂર્મના આવાસમાં વધુ એક વખત સ્લેબ ધરાશાયી થતાં ભાગદોડ મચી જવા પામી હતી. નૂર્મના આવાસમાં બ્લોક-41માં દાદરનો સ્લેબ એકાએક જમીનદોસ્ત થયો હતો જેને લઇને મહિલાને ઇજા પહોંચી હતી. અત્રે નોંધનિય છે કે થોડા દિવસ અગાઉ જ વડોદરાના મેયરે આ આવાસ અંગે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી.
થોડા દિવસ અગાઉ જ મેયરે કરી હતી સરપ્રાઇઝ વિઝિટ
મેયરની ઓચિંતી મુલાકાત દરમિયાન આવાસના મકાન લાભાર્થીઓએ ભાડે આપ્યા હોવાનું સામે આવતા મકાન માલિકોને નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો હતો. એટલું જ નહી જર્જરિત મકાનો અંગે સ્થાનિકોએ જે- તે વખતે મેયરને રજૂઆત પણ કરી હતી. છતાં આ અંગે સબંધિત વિભાગ દ્વારા ધ્યાન આપવામાં ન આવ્યું હોવાની રાવ ઉઠી હતી. મેયરની વિઝિટ બાદ બીજી વાર સ્લેબ ધરાશાયી થયો હોવાથી લોકોમાં રોષ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ઇજાગ્રસ્તને તાબડતોબ હોસ્પિટલ ખાતે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
આશરે ત્રણ વર્ષ આગાઉ પણ મકાનનનો સ્લેબ થયો હતો જમીનદોસ્ત
નોંધનિય છે કે, નૂર્મના આવાસ યોજના ભ્રષ્ટાચારની રાવને લઇને અગાઉ પણ વિવાદમાં સપડાઈ હતી. વડોદરા કોર્પોરેશને બીએસયુપી અંતર્ગત નૂર્મના આવાસ યોજનાના 3196 મકાનો બનાવ્યા હતા. જે મકાનોની વર્ષ 2011માં લોકોને સોંપણી કરવામાં આવી હતી. જેના માત્ર 7 વર્ષમાં જ એટલે કે વર્ષ 2019 ના પ્રારંભમાં જ મકાનના સ્લેબના ભાગ તુટી પડયો હતો. જેથી ભ્રષ્ટ્રાચાર થયો હોવાની ફરિયાદ ઉઠી હતી. જે તે સમયે નૂર્મના આવાસમાં બ્લોક નંબર 33ના 15 નંબરના સંજય શાહના મકાનમાં એકાએક સ્લેબનો ભાગ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટના સમયે ઘરમાં કોઇ હાજર ન હોવાથી સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી.