શહેરોમાં રખડતા ઢોરના ત્રાસથી ક્યારેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે તાજેતરમાં વધુ એક ઘટના એવી સામે આવી છે. જેમાં રખડતા ઢોરના કારણે એક છોકરાની આંખ ફૂટી ગઇ છે. વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં એક વિદ્યાર્થીને ગાયે અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો. જેમાં MSUમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી જ્યારે ગોવર્ધન ટાઉનશિપ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક એક ગાયે વિદ્યાર્થીને અડફેટમાં લેતા તે એક્ટિવા પરથી નીચે પડ્યો.
આ ગંભીર અકસ્માતમાં ડિવાઈડર કૂદીને ગાયે એક્ટિવા સાથે વિદ્યાર્થીને પછાડ્યો હતો. અકસ્માતમાં વિદ્યાર્થીને ગાયનું શિંગડું આંખમાં વાગતા વિદ્યાર્થીની આંખ ફૂટી ગઈ હતી. જો કે, આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. સ્માર્ટસિટી કહેવાતા વડોદરામાં પણ રખડતા ઢોરનો ત્રાસ એટલો બધો જોવા મળી રહ્યો છે કે તે કદાચ આગામી સમયમાં કોઇનો જીવ પણ લઇ લે તો કદાચ નવાઇ નહીં. તમને જણાવી દઇએ કે, રખડતા ઢોરના ત્રાસને દૂર કરવાની જાહેરાત અને યુદ્ધના ધોરણે કરેલી કામગીરી બાદ પણ હજુ જાહેર રસ્તાઓ પર ઢોર ફરી રહ્યાં છે, જેના કારણે આજે પણ અનેક લોકો અકસ્માતને ભેટી રહ્યાં છે.
કોર્પોરેશન પશુ પકડવાની બાબતમાં નિષ્ફળ નિવડ્યું
જો કે, રખડતા પશુના મામલે VTV ન્યુઝે MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં વિદ્યાર્થીઓએ રખડતા પશુ મામલે મનપાની કામગીરીને નિષ્ફળ ગણાવી છે. વિદ્યાર્થીઓએ રખડતા પશુ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. MS યુનિવર્સિટીના વિધાર્થીઓએ આ મામલે જણાવ્યું કે, 'કોર્પોરેશનની ગંભીર બેદરકારી છે. કોર્પોરેશન પશુ પકડવાની બાબતમાં નિષ્ફળ નિવડ્યું છે. મેયરે મોટી-મોટી વાતો કરી પણ તેની પર ઠોશ કાર્યવાહી નથી થતી. જેણે આંખ ગુમાવી છે તે જ આ દર્દને જાણી શકે. ઢોર પાર્ટીના માણસો માલધારીઓ સાથે મળી ગયા છે. ગાયો પકડીને પૈસા લઈને ગાયો છોડી દે છે. માલધારીઓને નાગરિકોની ચિંતા નથી એટલે ગાયો રખડાવી લોકોના જીવ જોખમમાં મૂકે છે.'
આ ઘટનામાં વિદ્યાર્થી હેનીલ પટેલે જણાવ્યું કે, 'હું ફરસાણ લઇને ઘરે જઇ રહ્યો હતો એ દરમ્યાન કોઇ વ્યક્તિએ ગાયને પથ્થર માર્યો. જેથી ગાય ભાગતાં તેનું શિંગડું મારી આંખમાં ઘૂસી ગયું. બાદમાં કોઇ અજાણી વ્યક્તિ મને હોસ્પિટલમાં લઇ ગઇ હતી.' વિદ્યાર્થીની માતાએ પણ આ અંગે રડતાં-રડતાં જણાવ્યું કે, 'હું ખૂબ દુઃખી છું કે મારા પુત્રએ એક આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. કોર્પોરેશને આ મામલે કાર્યવાહી કરવી જોઇએ. રખડતાં ઢોરોને પકડવા જોઇએ અથવા તો રોડ પર રખડતાં ઢોરને બંધ કરી દેવા જોઇએ. જેથી કરીને મારી જેમ બીજા કોઇના પુત્રએ આંખ ના ગુમાવવી પડે.'
મારા પુત્રની આંખ ફૂટી જવાની ઘટના માટે કોર્પોરેશન જવાબદાર
આ મામલે વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે, 'મારા પુત્રની આંખ ફૂટી જવાની ઘટના માટે કોર્પોરેશન જવાબદાર છે. કારણ કે ઘણાં લોકોને રખડતા ઢોરના કારણે ઇજા પણ થઇ છે અને મૃત્યુ પણ થયા છે. આ લોકો AC ઓફિસમાં બેસીને માત્ર વાતો જ કરે છે. કોઇ પગલાં નથી લેવાતાં. અમે વળતરની માંગ પણ કરીશું અને પોલીસ કેસ પણ કરીશું.'
સળગતા સવાલ?
આ પીડિત વિદ્યાર્થી સામે તંત્રના સત્તાધીશો 'આંખ' મીલાવી શકશે?