વડોદરામાં છેતરપિંડી કેસમાં ખૂબ ચર્ચાયેલા બિલ્ડર અને ભાજપના પૂર્વ હોદ્દેદાર દર્પણ શાહને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડીના કેસમાં અમદાવાદ ખાતેથી ઝડપી પાડયા છે.
વડોદરાના બિલ્ડિર દર્પણ શાહની ધરપકડ
છેતરપિંડીના કેસમાં ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ
ગ્રાહકો પાસે નાણા લઇ કરી હતી છેતરપિંડી
વડોદરાના સુખધામ રેસિડેન્સીના બિલ્ડર અને પૂર્વ ભાજપ નેતા દર્પણ શાહ આખરે પોલીસ જાપ્તામાં આવી ગયા છે.સુખધામ રેસિડેન્સીના ગ્રાહકો પાસે છેતરપિંડી કર્યાનો આરોપસર આ કાર્યવાહી કરવામાં આવી છે. મકાન રાખનાર ગ્રાહકો પાસેથી નાણાં લઈને દસ્તાવેજ ન કર્યાની ફરિયાદોનો ખડકલો થયો હતો. આશરે રૂ.3.23 કરોડની છેતરપિંડી કર્યાનો દર્પણ શાહ પર આરોપ લાગ્યો છે. ત્યારે આરોપી દર્પણ શાહ સહિત 7 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
3 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા
ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 4 ટીમો તપાસમાં લાગી હતી. જે બાદ અમદાવાદથી આરોપી દર્પણ શાહની ધરપકડ કરવામાં પોલીસને સફળતા હાથ લાગી હતી.આરોપી સામે 3 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. પોલીસ કોર્ટમાં હજાર કરી વધુ રિમાન્ડની માંગ કરતાં પૂછપરછ હાથ ધરશે.
શું છે સમગ્ર મામલો?
2015માં વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર સુખધામ રેસીડેન્સી નામની સાઈટમાં ડુપ્લેક્સનું બુકિંગ ચાલુ કરવામાં આવ્યું હતું. ઘણા લોકોએ આ સ્કીમમાં પોતાની મરણમૂડી રોકી ખરીદી કરી હતી. પણ માત્ર પોઝિશન આપવામાં આવ્યું હતું અને દસ્તાવેજ કરવામાં આવ્યો ન હતો. જે બાદ બિલ્ડર દર્પણ શાહ પાસે રજૂઆત કરવામાં આવતા તેણે પણ હાથ અધ્ધર કરી દીધા હતા. ઉપરાંત ફરિયાદીઓને ધમકી પણ આપી હતી. એક બાદ એક ફરિયાદો થતાં તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
તપાસમાં બિલ્ડર દ્વારા અન્ય 6 લોકો સાથે પણ આ સ્ટ્રેટેજીથી છેતરપિંડી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે ક્રીશ રિયાલિટીના બિલ્ડર દર્પણ હરીશ શાહ તેમજ અન્ય ભાગીદારો માર્ગી દર્પણ શાહ, હિતેશ માખીજા, અમીષ પટેલ, મિહિર પટેલ, યતીન શાહ અને દર્પણના બનેવી હિરેન બક્ષી સામે ગુનો નોંધી તપાસ તેજ કરી હતી. આપને જણાવી દઈએ કે આ ગુનામાં દર્પણ શાહ આગોતરા જામીન પણ ફગાવી દેવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના ACP H A રાઠોડના આદેશ મુજબ એક ટીમે અમદાવાદ ખાતે વોચ રાખી દર્પણ શાહને ઝબ્બે કર્યો હતો.