વડોદરાઃ વહોરા સમાજનાં સામાન્ય પરિવારનાં લોકોને સુરતનાં મહિધરપુરા અલાયાની વાડી ખાતે ફ્લેટ આપવાનાં બહાને બુકિંગ પેટે પૈસા લઇ બાદમાં પ્રોજેક્ટ શરૂ નહીં કરી અને ત્યારબાદ તે સ્થળે બીજો પ્રોજેક્ટ મૂકી અગાઉના પ્રોજેક્ટમાં બાના પેટે લીધેલી તમામ રકમ પરત કરી દીધી છે તેવા દસ્તાવેજો ઊભા કરી વહોરા સમાજની ૧૫૦થી વધુ વ્યક્તિ સાથે રૂ.૧.૨૫ કરોડથી વધુની ઠગાઈ કરનાર પેઢીના મહિલા ભાગીદાર વિરુદ્ધ મહિધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઝાંપાબજાર તૈયબી મહોલ્લાના એ.સી.એન એપાર્ટમેન્ટના ફ્લેટ નં. ૪૦૨માં રહેતા અને ઘરમાં સિલાઈકામ કરતાં ૪૪ વર્ષીય વિધવા શહેનાઝ ખોઝેમભાઇ દાગીનાવાળાએ વર્ષ ૨૦૧૦માં મહિધરપુરા પોસ્ટ ઓફિસની પાછળ અલાયાની વાડીમાં ૪/૨૦૦ ખાતે બાબાજીબાગના નામે રેસિડેન્શિયલ ફ્લેટનું આયોજન કરનાર મુલ્લા અબ્દુલ હુસેન મોહમ્મદભાઈ મલમપટ્ટીવાલા, જોહર મુલ્લા અબ્દુલ હુસેન મલમપટ્ટીવાલા, આસીફા જોહર મુલ્લા મલમપટ્ટીવાલા, નેમાબહેન મુલ્લા અબ્દુલ હુસેન મલમપટ્ટીવાલા તથા ફૈજી ફકરુદ્દીન પહાડવાલાની પેઢી એફજેડ એન્ટરપ્રાઇઝમાં ફ્લેટ બુક કરાવ્યો હતો. તેમણે રૂ. ૮૨,૫૦૦ ચૂકવ્યા હતા પણ રસીદ રૂ.૩૭,૫૦૦ની આપી બાકી રકમની નોંધ એક ડાયરીમાં કરાઇ હતી.
જો કે ભાગીદરો વચ્ચે હિસાબી તકરારમાં ૬ માસ બાદ પણ પ્રોજેક્ટ સ્થળે કામ શરૂ થયું નહોતું. બાદમાં બહાર આવ્યું કે સમગ્ર પ્રોજેક્ટ જ વિવાદમાં છે. વર્ષ ૨૦૧૬ના એપ્રિલ મહિનામાં એ જ સ્થળે મુફદલબાગના નામે નવો પ્રોજેક્ટ એિરસન્ટ ડેવલપર્સે મૂક્યો હતો. શહેનાઝબહેન ત્યાં ગયાં ત્યારે જોહર મુલ્લા અબ્દુલ હુસેન મલમપટ્ટીવાળાએ ખાતરી આપી હતી કે બાગજી બાગમાં જે ફ્લેટ પસંદ કર્યો છે તે જ કિંમતમાં તેમને ફ્લેટ મળશે પણ આ નવા પ્રોજેક્ટનું કામ પણ શરૂ થયું નહોતું.
માર્ચ-૨૦૧૭માં શહેનાઝબહેન ફરી બુકિંગ ઓફિસ ગયાં ત્યારે ત્યાંના સ્ટાફે કહ્યું કે અગાઉના પ્રોજેક્ટના બાનાની રકમ ચેક મારફત ચૂકતે કરી દેવાઇ છે. આમ કહીને ચેકની વિગતો પણ બતાવી હતી પણ શહેરનાઝબહેન સહિત ૧૫૦થી વધુ લોકોને ચેકની રકમ પરત મળી જ ન હોતી. અગાઉનાં પ્રોજેક્ટમાં જે ૧૫૦થી વધુ લોકોએ બાના પેટે રકમ આપી હતી તે તમામને ચેક મળી ગયાં છે તેવા બોગસ દસ્તાવેજો ઊભા કરી પૈસા ચૂકવી દીધાં હોવાનું દર્શાવાયું હતું. જ્યારે એકેયને ચેક મળ્યા ન હતા. આ સમયગાળામાં જ જોહર મુલ્લા મલમપટ્ટીવાલાનું અવસાન થતાં અંદાિજત રૂ.૧.૨૫ કરોડથી વધુની ઠગાઈ અંગે આખરે શહેનાઝબહેને જોહર મુલ્લા મલમપટ્ટીવાલાના પત્ની આસેફાબહેન વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઈ જે. પી. ગુપ્તા કરી રહ્યાં છે.