ભરૂચઃ વડોદરાથી મુંબઈ એક્સપ્રેસ-વે માટે જમીન સંપાદનનો મુદ્દે ફરી ગરમાયો છે. ભરૂચના સાત ગામના ખેડૂતોએ લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોનું કહેવું છે કે, યોગ્ય વળતર આપવાની બાંયધરી સાથે સરકારે ખેડૂતો પાસેથી ફળદ્રૂપ જમીન લીધી છે.
જો કે, ખેડૂતોને ધારાધોરણ મુજબ વળતર ચુકવાયું નથી. એટલે જ ખેડૂતો તરફથી કેસ કરાયો હતો. પરંતુ ચુકાદો આવી ગયો હોવા છતાં નવા નિયમો મુજબ ખેડૂતોને હજુ સુધી વળતર ચુકવાયું નથી. જેને લઈને ખેડૂતો રોષે ભરાયા છે. આગામી સમયમાં જો વળતર નહીં ચૂકવાય તો આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે બનાવવામાં આવશે
આ યોજનાના નવા રસ્તા મુજબ દિલ્હી બહારના ગુરુગ્રામથી શરૂ થઈ પૂર્વના રસ્તે અલવર તરફથી થઈને મધ્યપ્રદેશના જાબુઆ અને રતલામ આદિવાસી વિસ્તારમાંથી રસ્તો પસાર થશે. ત્યાંથી ગુજરાતના વડોદરા તરફ રસ્તો તૈયાર કરવામાં આવશે. યોજના મુજબ હરિયાણાના મેવાત અને ગુજરાતના દાહોદના પછાત વિસ્તારોને એક્સપ્રેસ-વે સાથે જોડવામાં આવશે. તૈયાર થયેલા નકશા પ્રમાણે એક્સપ્રેસ-વે યોજના મુજબ દિલ્હી-ગુરુગ્રામ-મેવાત-કોટા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત-દહીસર-મુંબઈ સુધી વિસ્તરશે.
ખેડૂતો દ્વારા કરાઇ યોગ્ય વળતરની માગ
ભરૂચમાં ખેડૂતોની ફળદ્રુપ જમીનના સંપાદનને લઇને ખેડૂતોએ યોગ્ય વળતરની માગણી કરી હતી. વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવે અને બુલેટ ટ્રેન માટે મોટાપાયે ખેડૂતોની જમીનો કપાતમાં જઇ રહી છે. જેને લઇને ખેડૂતોએ પ્રોજેક્ટમાં જમીન ગુમાવવાને લઇને યોગ્ય વળતરની માગ કરી રહ્યા છે. જો આવનારા દિવસોમાં ખેડૂતોની માગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી.