વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે બનાવેલી અને સરદાર વલ્લભભાઈ પટેલ જે સ્કૂલમાં ભણ્યા છે તેવી એક્સપરિમેન્ટલ સ્કૂલને બંધ થવાના ભણકારા..
વડોદરાની એક્સપરિમેન્ટલ શાળા બંધ થવાના આરે
મહારાજા સયાજીરાવ ગાયકવાડે શરૂ કરાવી હતી શાળા
શાળામાં શિક્ષકોની ભરતી ન થતા વર્ગો બંધ કરાયા
સરદાર વલ્લભભાઈ પટેલ એટલે ગુજરાતનું જ નહિ પણ દેશનું ગૌરવ.ઉન્નત મસ્તકે, દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાયા.પણ વિધિની વક્રતા તો એ છે કે, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે બનાવેલી અને સરદાર વલ્લભભાઈ પટેલ જે સ્કૂલમાં ભણ્યા છે તેવી એક્સપરિમેન્ટલ સ્કૂલને બંધ થવાના ભણકારા વાગી રહ્યા છે.
.સાયન્સ બાદ કોમર્સના વર્ગો પર જોખમ
સરદાર વલ્લભભાઈ પટેલના અભ્યાસકાળની સ્મૃતિઓ સાથે સંકળાયેલી એક્સપરિમેન્ટલ સ્કૂલ જે અગાઉ બરોડા સ્કૂલના નામે પણ મશહૂર હતી તેમાં શિક્ષકોની ભરતીના અભાવે વર્ગખંડ બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અગાઉ, ધોરણ 11-12 સાયન્સના વર્ગો શિક્ષકોના અભાવે બંધ થયા છે. આં જ કઈક હવે કોમર્સ વિભાગના વર્ગ સાથે થવા જઈ રહ્યું છે.ધોરણ 11-12 કોમર્સના વર્ગોમાં પણ શિક્ષકોની ભરતી ના કરી બંધ કરવાની પેરવી ચાલી રહી હોવાનો સૂર ઉઠવા પામ્યો છે.
રાજવી સયાજીરાવનું સ્વપ્ન
ઈતિહાસ સાક્ષી છે કે, શિક્ષણ અને કલાવિદ મહારાજા સયાજીરાવ ગાયકવાડે નિર્માણ કરાવેલી આ શાળામાં વર્ષ 1895માં ધોરણ 8માં એક વર્ષ માટે સરદાર વલ્લભભાઈ પટેલ ભણ્યા હતા, તે સ્કૂલના વર્ગો M.S.યુનિવર્સિટીના સત્તાધીશોની ઉદાસીનતાના કારણે બંધ કરવા પડી રહ્યા છે.મહારાજા સયાજીરાવ ગાયકવાડે યુનિવર્સિટીની એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓ શિક્ષક બનવા માટે અભ્યાસ કરવા આવતા હતા, તેમને વિદ્યાર્થીઓને ભણાવવાનો અનુભવ પણ મળી રહે તે માટે ફેકલ્ટીની બિલ્ડિંગમાં જ એક્સપરિમેન્ટલ સ્કૂલ શરૂ કરી હતી
શિક્ષકોની ભરતી પ્રત્યે ઉદાસીનતા
એક્સપરિમેન્ટલ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલના મતે સ્કૂલમાં શિક્ષકોની ભરતી ન થતા અને વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતાં ધોરણ 11-12 સાયન્સના વર્ગો બંધ કરવા પડ્યા, તેવી જ રીતે ધોરણ 11-12 કોમર્સમાં પણ મુખ્ય વિષય એકાઉન્ટ અને સ્ટેટેસ્ટિકના શિક્ષકો જ નથી, બંને વર્ગોમાં મળી માત્ર એક જ શિક્ષક છે, જ્યારે ધોરણ 9 અને 10માં ભણાવતા શિક્ષકો 11 અને 12ના વિદ્યાર્થીઓને ભણાવે છે, જેના કારણે કોમર્સમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે...જે વર્ગો પણ ક્યારેક બંધ થવાની મોટી સંભાવનાઓ જોવાઈ રહી છે.હાલમાં ધોરણ 11 કોમર્સમાં 58, અને 12 કોમર્સમાં 51 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સંખ્યામાં પણ ઉતરોત્તર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.
શાળા મુદ્દે ચલક-ચલાણું
M.S.યુનિવર્સિટી એક્સપરિમેન્ટલ સ્કૂલમાં ધોરણ 1 થી 8 ના વર્ગોનું સંચાલન કરે છે, જ્યારે ધોરણ 9 થી 12 ના વર્ગોનું સંચાલન જિલ્લા શિક્ષણાધિકારી કરે છે, એટલે કે રાજ્ય સરકારના હાથમાં છે.પણ સંપૂર્ણ એક્સપરિમેન્ટલ સ્કૂલનું મેનેજમેન્ટ યુનિવર્સિટીના સતાધીશોના હાથમાં જ છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ જે સ્કૂલમાં ભણતા હતા, તે સ્કૂલને પણ ચાલુ રાખવામાં યુનિવર્સિટીના સત્તાધીશો સાથે રાજ્ય સરકારને પણ રસ ના હોય તેવું લાગી રહ્યું છે.યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો પણ માત્ર તમાશો જોતા હોય તેવું વડોદરાની શિક્ષણ-સંસ્કાર પ્રિય જનતાને ભાસી રહ્યું છે. આ વચ્ચે યુનિવર્સિટીના જન સંપર્ક અધિકારીનું કહેવું છે કે વિધાર્થીઓની ઓછી સંખ્યા ના કારણે સરકાર શિક્ષકો આપતી નથી પરંતુ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમા રાખી યુનિવર્સિટીએ હંગામી શિક્ષકો ની ભરતી કરવાનુ આયોજન હાથ ધર્યુ છે અને શિક્ષકોના ઈન્ટરવ્યુ પણ કરી દેવા મા આવ્યા છે
.શિક્ષણની અવદશા
રાજ્યમાં સરદાર પટેલના નામની દુહાઈઓ અપાતી હોય ત્યારે, સરદારના સંસ્મરણ સાથે જોડાયેલી એક શાળા માત્ર શિક્ષકોના અભાવે બંધ કરવી પડતી હોય તો એ સ્થાનિક સતાધીશો, નાગરિકોની ઉદાસીનતા અને રાજ્ય સરકારના આંખ-આડા કાન જવાબદાર ગણી શકાય. પ્રબુદ્ધ નાગરીકો પણ આવો અભિપ્રાય આપતા અચકાતા નથી.