યુવતીની ડાયરીમાંથી પેજ ફાડવામાં આવ્યા હતા-DySP જાધવ
વડોદરાની યુવતી પર સામૂહિક દુષ્કર્મ બાદ આપઘાતનો કેસ મામલે વડોદરા વેસ્ટર્ન રેલવેના DySP બી.એસ.જાધવે તપાસ પર મોટા ખુલાસા કર્યા છે. યુવતીની ડાયરીમાંથી પેજ ફાડવામાં આવ્યા હતા તેવી વાત પોલીસ તપાસમાં બહાર આવી છે. પોલીસે આ કેસમાં વધુ વિગત આપતા કહ્યું કે OASIS સંસ્થાએ ફાટેલા પેજના ફોટા રેલવે પોલીસને આપ્યા છે. જે ફાટેલા કાગળના ફોટા FSLમાં મોકલવામાં આવ્યા છે.
OASIS સંસ્થાના 5 લોકોના મોબાઇલ કરાયા જપ્ત: DySP
આપઘાત પહેલા યુવતીએ OASIS સંસ્થાનો કોન્ટેક્ટ પણ કર્યો હતો અને ડાયરીમાં તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. જે બાદ પોલીસે કાર્યવાહી કરતાં OASIS સંસ્થાના 5 લોકોના મોબાઇલ ફોન જપ્ત કરાયા છે. યુવતીના સહ કર્મચારી શૈલેષ અગ્રવાલ,સંજીવ શાહ,પ્રીતિ નાયર,વૈષ્ણવી અને અવધિના ફોન મેળવી તેણે FSLમાં મોકલવામાં આવ્યા છે. OASIS સંસ્થાકર્મી સામે હાલ તપાસ ચાલી રહી છે ગુનેગાર હશે તો કાર્યવાઈ થશે તેવી વાત પણ કરી હતી.OASIS મેનેજીંગ ટ્રસ્ટીના પતિ સંજીવને યુવતીના મેસેજ બાદ સંસ્થાએ ઘટનાને ગંભીરતાથી કેમ ન લીધી તે અંગે હાલ પૂછપરછ કરાઇ રહી છે.
યુવતીએ મૃત્યુ અગાઉ 2 ફોન કર્યા: DySP
કેસમાં ચાલી રહેલી તપાસ અંગે માહિતી આપતા DySP જાધવએ કહ્યું હતું કે વલસાડથી નવસારી સુધીના તમામ CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા છે. વિસ્તારમાં કેટલાક લોકોની પૂછપરછ હાથ ધરાઇ છે. કોલ ડિટેઈલની તપાસ ચાલુ છે. યુવતીના મૃત્યુ અગાઉ 2 ફોન થયા હતા.જેમાંથી યુવતીએ કોલ ઈમરાન નામના વ્યક્તિને કર્યો હતો. આ સાથે પોલીસે ગુનેગાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો દિલાસો આપ્યો છે.
શું યુવતીનું મર્ડર થયું?
સામુહિક દુષ્કર્મ બાદ યુવતીએ આપઘાત કરી લીધો હોવાનું મનાઇ રહ્યું હતું પરંતુ યુવતીએ આત્મહત્યા નહીં પરંતુ વ્યવસ્થિત રીતે મર્ડર કરાયું હોવાની શક્યતાઓ છે. આ ઘટનાને 17 દિવસ થવા આવ્યા છે, ત્યારે પોલીસ ચોતરફ તપાસ કરી રહી છે. તેવામાં હવે યુવતીના દુષ્કર્મ કેસમાં નવો ખુલાસો થયો છે. યુવતીએ કરેલા છેલ્લો મેસેજ યુવતીની હત્યા થઇ હોવાનું સ્પષ્ટપણે દર્શાવે છે.
યુવતીએ પોતાનો જીવ બચાવવા કર્યો હતો છેલ્લો મેસેજ
ગુજરાત ક્વીન ટ્રેનમાં મહારાષ્ટ્ર જતા સમયે યુવતીનો નવસારીથી કેટલાક લોકો પીછો કરી રહ્યા હતા. આ લોકોએ યુવતીને કિડનેપ કરી લીધી હતી. યુવતીએ વોશરૂમમાંથી SoS (જીવ બચાવવાનો) વ્હોટ્સએપ મેસેજ સંજીવભાઈ નામની વ્યક્તિને મોકલ્યો હતો. જેમાં યુવતીએ રાત્રે 11.31 વાગ્યે કરેલા વ્હોટ્સએપ મેસેજમાં લખ્યું છે કે 'સોરી સંજીવભાઈ, પ્લીઝ મને બચાવી લો. હું કામ માટે મહારાષ્ટ્ર જતી હતી, તેઓ મારો નવસારીથી પીછો કરી રહ્યા છે. તેમનો ઈરાદો ગમે તે રીતે મને જાનથી મારી નાખવાનો છે. હું ટ્રેનમાં છું એટલે કોલ નથી કરી શકતી.. જેમ-તેમ કરીને મારો ફોન મેળવ્યો છે... મારા માતા-પિતા તો કશું જાણતાં જ નથી. મારું અપહરણ થયું છે. હું અત્યારે વોશરૂમમમાં છું અને તે લોકો મને મારી નાખશે. પ્લીઝ કોલ કરશો... રાહ જોઉં છું..
યુવતીને આરોપીઓએ ચપ્પુનો ઘા માર્યો હોવાનો ખુલાસો
વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ મામલે સામે આવ્યું છે કે, દુષ્કર્મથી બચવા પ્રતિકાર કરતા આરોપીઓએ યુવતીને ચપ્પુનો ઘા માર્યો હતો. દુષ્કર્મ બાદ યુવતીએ તેના આપવીતી પોતાની ડાયરીમાં નોંધી હતી. જો કે પોલીસ તપાસમાં સામે આવ્યું કે યુવતીની ડાયરીમાંથી છેલ્લું પાનુ ફાડી નાખવામાં આવ્યું હતું. ડાયરીના ફાડી નાખવામાં આવેલા પાનાની પોલીસને ઝેરોક્ષ મળી છે. OASIS સંસ્થાની મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરે પોલીસને ઝેરોક્ષ આપી છે. સંસ્થાને અગાઉથી જ યુવતી સાથે દુષ્કર્મ થયાની જાણ હતી. જો સંસ્થાએ પોલીસને જાણ કરી હોત તો યુવતીનો જીવ બચી શક્યો હોત. ત્યારે ઓએસીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.