વડોદરાનો સંજય સાધુ નામનો વીર જવાન આસામ બોર્ડર પર માતૃભૂમિની રક્ષા કરતાં કરતાં શહીદી વહોરી ગયો અને આ તરફ પરિવાર પર આભ તૂટી પડ્યું. જ્યારે શહીદ જવાનના સંપૂર્ણ સૈન્ય માન સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં ત્યારે એક હર એક આંખમાં આંસુ હતાં.
શહીદનાં પરિવારજનો માતૃભૂમિની રક્ષા માટે પોતાનો લાડકવાયો શહીદ થયાનું ગૌરવ અનુભવી રહ્યાં હતાં પરંતુ તેમના મનમાં શહીદના બાળકનાં અને તેની પત્નીનાં ભવિષ્યને લઈને ચિંતા કોરાઈ રહી હતી. ત્યારે જોઈએ આ અહેવાલ.
ભાલ પર કુમકુમનું તિલક અને માથા પર આર્મીની ટોપી અને ચહેરા પર ગૌરવાન્વિત કાંતિ. આ તસવીર છે વડોદરાનાં વીર જવાન સંજય સાધુની પરંતુ અફસોસ તેઓ હવે આપણને માત્ર તસવીરમાં જ જોવા મળશે. કેમ કે વડોદરાના જવાન સંજય સાધુ બાંગ્લાદેશ બોર્ડર પર દેશની રક્ષા માટે શહીદ થઈ ગયાં. ફૂલોથી ઢંકાયેલો તેમનો દેહ અને પૂરા સૈન્ય માન સન્માન સાથે તેમના અંતિમ સંસ્કારની આ વિધિ દ્વારા તેઓ હવે પંચમહાભૂતમાં વિલિન થઈ ગયા છે. પરંતુ તેમની દેશદાઝ અને બહાદુરી આ દેશ કાયમ યાદ રાખશે.
સંજય સાધુ આજથી 9 વર્ષ પહેલા બીએસએફની પરીક્ષા પાસ કરીને બીએસએફમાં જોડાયા હતાં. હાલ તેઓ બીએસએફમાં પીઆઇની પોસ્ટ પર હતાં. તેઓ બાંગ્લાદેશની બોર્ડર પર થતી ગાયોની તસ્કરી રોકવાના એક ઓપરેશનમાં હતાં તે દરમ્યાન પાણીનાં પ્રવાહમાં તણાઈ ગયા અને શહીદ થઈ ગયાં.
વડોદરાનાં વીર શહીદને આજે વડોદરાના અનેક લોકોએ રાજકીય સન્માન સાથે વિદાય આપી. રાજકીય મહાનુભાવોએ હાજરી આપીને શ્રદ્ધા સુમન પણ અર્પણ કર્યા. સામાન્ય રીતે આ ઘટના એક શહીદીની છે પરંતુ આ ઘટના પછી એક પરિવારનાં અનેક લોકો નિરાધાર બન્યાં છે. એક પત્ની વિધવા થઇ છે ને સાથે-સાથે બે દીકરી શ્રદ્ધા અને આસ્થાને માથેથી પિતાની છત્ર છાયા છીનવાઈ ગઈ છે.
દીકરા ઓમની માસૂમ આંખો પિતાને શોધી રહી છે. તેને નથી ખબર કે તેના પિતા હવે ક્યારેય પરત આવવાના નથી. શહીદના પત્ની માટે આ સમયે સ્વસ્થતા ધારણ કરી રાખવી એ ખૂબ અઘરી વાત હતી. તેમને આ શોકનાં પ્રસંગે પરંપરા પ્રમાણે શણગાર સજીને પતિને આખરી વિદાય આપવાની હતી. પરંતુ જ્યારે મીડિયાએ તેમની સાથે વાત કરી તો તેમનાં આંસુનો બંધ તૂટી પડ્યો.
હા તેમની ચિંતા સમજી શકાય તેવી છે. કેમ કે દેશની સરહદના રક્ષણ માટે શહીદ થનારા જવાનોના પરિવારજનોનો માટે આ દુખ વ્યક્ત ન કરી શકાય તેવું હોય છે. એક તરફ દેશ માટે બલિદાનની વાત હોય છે અને બીજી તરફ જીવાતા જીવનની હાડમારીઓ સામે ઝઝૂમવાની વાત હોય છે. આ સ્થિતિમાં શહીદોના પરિવાજનોએ ટકી રહેવું ખૂબ મુશ્કેલ હોય છે. આ માટે સામાજિક અગ્રણીઓ દ્વારા શહીદનાં પરિવારજનોને યોગ્ય અને પર્યાપ્ત સરકારી મદદ મળી રહે તે માટે વિનંતી કરવામાં આવી છે
દીકરી ઓમની તો એટલી ઉમર પણ નથી કે તે સમજી શકે પિતાની શહીદી એટલે શું અને છત્રછાયા ગુમાવવી એટલ શું? પરંતુ પિતાને મુખાગ્નિ આપતી વખતે તેની આંખમાં આવેલા આંસુ જોઈને કદાચ આજે કુદરત પણ રડી હશે...ત્યારે દેશ માટે શહીદી વહોરનાર આ જવાનના સંતાનો અને પરિવારને મુશ્કેલી ન પડે તે માટે સરકારે યોગ્ય મદદ કરવી જ રહી.