વડોદરામાં કમાટીબાગ ઝૂમાં હરણ પર કૂતરાના હુમલાથી મોતના મામલે મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. આ મામલે કમિશનર દ્વારા ઝૂ ક્યુરેટરને તપાસ સોંપવામાં આવી છે. આ સાથે જ સિક્યુરિટી એજન્સી ગૃપ સેવનને નોટીસ પણ ફટકારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વડોદરામાં કમાટીબાગ ઝૂની ઘોર બેદરકારી સામે આવી છે. કમાટીબાગના ઝૂમાં રહેલા 4 હરણને કૂતરાએ ફાડી ખાતા આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. જેને લઇને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
આ ઘટના વહેલી સવારે 5 થી 7 દરમિયાન બનવા માપી હતી. પાંજરામાં કુલ 13 હરણ હતા જેમાંથી 4નાં મોત થયાં હતા જ્યારે અન્ય હરણ ઘાયલ થયા હતા. બનાવ બાદ કોર્પોરેશનના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
આપને જણાવી દઇએ કે આ મામલાની જાણ વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરને કરવામાં આવતા તેમણે તપાસના આદેશ આપ્યા હતા. આ મામલાની તપાસ કમિશનર દ્વારા ઝૂ ક્યુરેટરને તપાસ સોંપવામાં આવી છે આ સાથે જ હરણના પાંજરામાં કુતરા ઘુસ્યા કેવી રીતે તેની પણ આકરી તપાસ હાથ ધરવામાં આવી છે.