ગુજરાત પર ત્રણ દિવસની હવામાન વિભાગની આગાહી પગલે છેલ્લા 48 કલાકથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યની સંસ્કાર નગરી વડોદરામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. ઉપરવાસમાં આવી રહેલા અવિરત પાણી પ્રવાહને લઇને શહેરના આજવા સરોવરમાંથી 62 દરવાજા ખોલીને 5600 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.
વડોદરાના આજવા સરોવરમાંથી પાણી છોડાયું
62 દરવાજા ખોલીને 5600 કયુસેક પાણી છોડાયું
પ્રતાપપુરામાંથી 7 હજાર કયુસેક પાણી આવી રહ્યું હતું
વડોદરા શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પ્રતાપપુરામાંથી 7 હજાર ક્યૂસેક પાણીની આવકના પગલે શહેરના આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે.
વડોદરાના આજવા સરોવરમાંથી 62 દરવાજા ખોલીને 5600 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને લઇને વિશ્વામિત્રી નદીનું લેવલ 20.50 ફૂટ પર પહોંચ્યું હતું. જો કે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેન કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જ્યારે બીજી તરફ કડાણા ડેમમાંથી 4.50 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના પગલે વડોદરા-ખેડાને જોડતો ગળતેશ્વર પુલ બંધ કરવામાં આવ્યો હતો.