વડોદરામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોનું રેસ્ક્યું કરવામાં આવી રહ્યું છે. રેસ્ક્યુ દરમિયાન એક એવું દ્રશ્ય સામે આવ્યું જેમાં પાંચ હજાર વર્ષ જૂનો ઈતિહાસ તાજો થઈ ગયો. એક વ્યક્તિએ નવજાતને બચાવવા માટે માથે ટોપલો મૂકીને પોતે પૂરમાં ઝંપલાવ્યું તો લોકનજરે કૃષ્ણજન્મનો અને વાસુદેવના એક જહેમતનો આખો ઘટનાક્રમ તાજો થઈ ગયો. તો જાણો કોણ હતું એ બાળક અને કોણે બન્યું તેનું તારણહાર...
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને લઈને વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. પૂર સહિતની કુદરતી આપદાઓમાં બચાવ અને રાહતના કાર્યોમાં એનડીઆરએફ હંમેશા અગ્રેસર રહે છે. એ પરંપરાને આગળ ધપાવતા એનડીઆરએફ જરોદના તાલીમબદ્ધ જવાનોની 4 ટુકડીઓ અત્યારે વડોદરા શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોના ફસાયેલા લોકોને ઉગારવાનું કામ થાક્યા વગર કરી રહ્યા છે. જવાનો બોટ, લાઈફ બોટ, લાઈફ બોયા સહિતની સાધન સુવિધા સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત છે. અને વડોદરા સિટીમાંથી અનેક લોકોને ઉગાર્યા છે.
કૃષ્ણ-વાસુદેવ જેવા દ્રશ્યો સર્જાયા
આ બચાવ કાર્ય વચ્ચે એક એવું પણ બચાવકાર્ય થયું જેણે સોશિયલ મીડિયા દ્વારા કરોડો લોકોનું ધ્યાન ખેંચ્યું. આપ તસવીરમાં જોઈ રહ્યા છો. વડોદરામાં ભારે વરસાદને કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. રેસ્ક્યુ દરમિયાન એક પોલીસ સબ ઇન્સપેક્ટરે દોઢ માસના બાળકનું રેસ્કયુ કરતા કૃષ્ણ-વાસુદેવ જેવા દ્રશ્યો સર્જાયા હતા. જેવી રીતે નવજાત કૃષ્ણને ટોપલામાં માથે ઉપાડીને વાસુદેવા યમુના નદી પાર કરાવી હતી તેવી રીતે આ પીએસઆઈએ માથે ટોપલામાં બાળકને ઉપાડીને તેનું રેસ્ક્યુ કર્યું હતું. ગળાડૂબ પાણી વચ્ચે બાળકને ટોપલામાં ઉઠાવીને રેસ્ક્યુ કરતા અદભૂત નજારો સર્જાયો હતો.
જોકે બાળકૃષ્ણ એતો પોતાના પગની ટચલી આંગળી જળને અડાડને વાસુદેવ માટે માર્ગ કરી આવ્યો હતો. પરંતુ અહીંતો બાળકને બચાવનાર પીએસઆઈ ગોવિંદ પરમારને જીવ સટોસટનો જંગ ખેલવો પડ્યો હતો. જોકે પોતાના પ્રયાસ થકી કોઈનું બાળક બચી ગયું તેના સંતોષ અને આનંદ પીએસઆઈના ચહેરા પર ઝળકતા હતા.
શહેરનું તંત્ર ઉંઘમાં...
દેશના જાંબાજ જવાનો રાહત અને બચાવકાર્ય માટે સતત ખડે પગે હોય છે. સરકાર આપત્તિ વ્યવસ્થાપન માટે પણ સતત કાર્યરત હોય છે. પરંતુ વાત શહેરના આયોજનની હોય ત્યાં કે ટાઉનપ્લાનિંગની વાત હોય કે રોડ બનાવવાની હોય ત્યાંજ તંત્ર કાંતો થાપ ખાય જાય છે કાંતો આ વાત નજરઅંદાજ કરે છે પરિણામે શહેરોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે. આ બાબતે ધ્યાન કરવું જરૂરી છે.