ખેતી કરવાનો ખર્ચ આજે દરેક ખેડુતને પરવડતો નથી. ખેતીનું ખાતર, જીવજંતુથી ખેતીને બચાવવા માટે દવાનો છંટકાવ કરવો. આ દરેક વસ્તુના વધતા ભાવ ખેડુતને મુશ્કેલીમાં મુકી રહ્યા છે. પરંતુ ઘણા ખેડુત એવા પણ છે જે સાત્વિક ખેતી કરી અનાજને તો રાસાયણયુક્ત દવાથી બચાવે છે. સાથે જ ખેતીના ખર્ચમાં પણ ઘટાડો થાય છે.
ખેતીમાં ખર્ચ ઓછો થવાના કારણે માર્કેટમાં પણ મારા શાકભાજી ઓછી કિંમતમાં વેચીને વધુ વળતર સહેલાઇથી મેળવી લેવાય છે
ગાયના છાણ અને ગૌમૂત્ર ખેતી માટે સજીવ ખાતર અને ઝેરી રસાયણોથી મુક્ત જંતુનાશકની ગરજ સારે છે
એક ખેડુત પુત્ર એવા છે જેમણે સાત્વીક ખેતી કરીને અન્ય ખેડુતો માટે નવો માર્ગ મોકળો કર્યો
સાત્વિક ખેતી શું છે ?
કપાસની ખેતી દિન-પ્રતિદીન મોંઘી બની રહી છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વપરાશના કારણે ખેતી કરવી ખેડુતોને પરવડતી નથી તો બીજી બાજુ જમીનની ગુણવત્તા નબળી પડી રહી છે. ત્યારે એક ખેડુત પુત્ર એવા છે જેમણે સાત્વીક ખેતી કરીને અન્ય ખેડુતો માટે નવો માર્ગ મોકળો કર્યો છે. તેમણે કપાસની દેશી જાત અને બિટી, બન્ને પ્રકારના બિયારણોનો ઉપયોગ કરી કપાસની સાત્વીક ખેતીનો નવતર પ્રયોગ હાથ ધર્યો. એટલું જ નહીં આ પ્રયોગને સફળતા પણ મળી છે, વળતળ પણ પહેલાં કરતાં વધુ મળ્યું છે.
આ સફળતા પછી તેમણે પોતાની સાત્વિક ખેતીના પ્રયોગને રોકડીયા પાક એટલે કે શાકભાજી પર અજમાયો, જ્યા તેમણે સારી આવક કરી. વડોદરા જીલ્લાના શિનોર તાલુકાના બાવળીયા ગામના ખેડુત વનરાજસિંહ દિલીપસિંહ ચૌહાણે સાત્વિક ખેતીનો પ્રયોગ કર્યો. સૌ પ્રથમ તો પ્રશ્ન થાય કે આ સાત્વિક ખેતી છે શું ? જે ખેતીમાં જંતુનાશક તરીકે ઝેરી રસાયણોનો ઉપયોગના કરવો પડે અને જે છંટાકવનો ઉપયોગ થાય તે બિલકુલ સજીવ હોય.
ખર્ચ ઘટાડવાનો ઉત્તમ ઉપાય
ગાયના છાણ અને ગૌમૂત્ર ખેતી માટે સજીવ ખાતર અને ઝેરી રસાયણોથી મુક્ત જંતુનાશકની ગરજ સારે છે. સામાન્ય રીતે જોવા જઇએ તો પણ ખેતી અને પશુપાલન એક બીજાના પૂરક ગણાય છે. ત્યારે ગૌમૂત્ર અને ગાયના ગોબરનો ઉપયોગ કરી ખેતીને સજીવ કરવાનો વિચાર જ ઉમદા છે. સાત્વીક કહો કે સજીવ અંતે સાદી ખેતી કરી ખર્ચ ઘટાડવાનો આ ઉત્તમ ઉપાય છે. ગાયના ગોબરમાંથી છાણીયું ખાતર બનાવવામાં આવે છે જે તૈયાર કરવા દસ બેરલ જીવા મુત્ર, વીસ લીટર અગ્નીશ, જ્યારે ગૌમૂત્રમાં શેઢા પાળાનો ધતુરો, આંકડો, લીમડા જેવી વનસ્પતિઓ ભેગી કરી સાત્વિક અને સરળ પ્રવાહી બનાવાય છે. જે જંતુનાશક દવાની ગરજ સારે છે. કપાસ ઉપરાંત દરેક ખેતીમાં આ પ્રવાહીને જંતુનાશક દવા તરીકે છાંટી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાસાયણિક ખાતર-જંતુનાશકના ઉપયોગથી જમીન નિર્જીવ બને છે. જેના કારણે ધરામાં રહેલા ઉપયોગી સજીવોનો પણ નાશ થાય છે. સમય જતા તેની સીધી અસર પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર પડે છે. અને અંતે નુકશાન તો ખેડુતોને જ ભોગવવુ પડે છે. જો કે હવે આના વિકલ્પમાં સજીવ ખેતી ઉત્તમ વિકલ્પ બની રહી છે.
શું કહે છે ખેડુત વનરાજસિંહ
આ વિશે વાત કરતા વનરાજસિંહ ચૌહાણ કહે છે કે, “કપાસની સાત્વિક ખેતીમાં સફળતા સાંપડ્યા પછી હવે મેં રોકડિયા પાક એટલે શાકભાજી પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. વીસ વીઘા જમીનમાં ટામેટા, રીંગણ, ભીંડા, ચોરી, મેથી, ધાણા, પાલખ, ફુલાવર, કોબીઝ, મૂળા, ગાજર અને તમામ પ્રકારના શાકભાજીનું વાવેતર કરુ છું. સીઝનેબલ શાકભાજીનો પાક પણ સારો ઉતરે છે. મારી સંપુર્ણ ખેતીને તમે ગાય આધારિત ખેતી પણ કહી શકો છો. ઓર્ગેનીક પદ્ધતિથી ગાયના મળમૂત્ર તેમજ અન્ય વસ્તુઓનું મિશ્રણ કરી નજીવી કિંમતનું ખાતર તૈયાર કરૂ છું. ખેતીમાં ખર્ચ ઓછો થવાના કારણે માર્કેટમાં પણ મારા શાકભાજી ઓછી કિંમતમાં વેચીને વધુ વળતર સહેલાઇથી મેળવી લેવાય છે. ઉપર જણાવેલી તમામ વસ્તુ એકત્રીત કરી મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. જે દસ દિવસ કરતા પણ વધુ સમય સુધી સંગ્રહ કરી શકાય છે. સમયઅંતરાલે તેનો છંટાકવ કરતા રહેવાનું હોય છે.”
સાત્વિક ખેતી માટે ખેડુત મંડળ
સાત્વિક અને સજીવ ખેતીને મહત્વ આપતા ખેડૂતો દ્ધારા એક મંડળ પણ બનાવવામાં આવ્યુ છે. કપાસના દેશી બિયારણો, વેરાયટીઓ નામશેષ થઇ જશે તેવો ભય પણ આ ખેડુતોએ જતાવ્યો હતો. સાથે મંડળમાં જોડાયેલા ખેડુતોનું માનવુ છે કે હાલમાં ઘણી સંસ્થાઓ ખેડુતોની વારે આવી છે. સુધારેલા દેશી બિયારણો માર્કેટમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જે ખેડુતો માટે આશાસ્પદ છે. આ મંડળના ખેડુતો અન્ય ખેડુતો સાથે પોતાના આચાર-વિચાર અને અનુભવ સેર કરે છે. જેના કારણે ધીમે-ધીમે આજુ-બાજુના ગામના ખેડુતો પણ સાત્વિક ખેતીનું અનુકરણ કરવાનું વિચારી રહ્યા છે.
ખેતી માટે ગાયકવાડ સરકારે રેલવે શરૂ કરી હતી
વડોદરા જીલ્લાના લગભગ દરેક તાલુકામાં વધતા ઓછા પ્રમાણમાં કપાસની ખેતી કરવામાં આવે છે. કપાસની શિયાળુ ખેતી પણ ઘણી પ્રચલીત છે. એક સમયે કપાસના જીનિંગ-પ્રેસિંગનો ઉદ્યોગ વડોદરા જીલ્લાના દરેક તાલુકામાં ધમધમતો હતો. જેના કારણે ગાયકવાડ સરકારે પ્રથમ રેલવે પણ શરૂ કરી હતી. એમ પણ કહી શકાય કે ગાયકવાડ સરકારનો રેલવે શરૂ કરવા પાછળનો હેતુ કપાસને બજાર સુધી પહોંચાડવાનું હતો. કારણ કે તે સમયે માર્કેટમાં ઉત્પાદન પહોંચાડવુ સરળ નહોતું. કપાસ જેવી જણસોનું બજાર સુધી પરિવહન સહેલાઇથી થાય તે ઉદ્દશ હતો. માટે કપાસનો પાક પહેલેથી જ સામાજિક ખુશહાલીનું માધ્યમ ગણાતો હતો. હાલના સમયમાં જ્યારે પ્લાસ્ટિક વપરાશ પર પ્રતિબંધની વાત છે ત્યારે કપાસમાંથી બનતી કાપડની થેલીઓ ઉપયોગી બની રહે તેમ છે.