વડોદરાનો ગુમ થયેલા પરિવારના કેસમાં ડભોઇની શંકરપુરા બ્રાન્ચની કેનાલમાં ડૂબેલી એક કાર સાથે પાંચમાંથી ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ડભોઇના તેન ગામ નજીક નર્મદા કેનાલમાંથી મળ્યા છે. મહત્વનું છે કે વડોદરાથી કેવડિયા ગયેલો પરિવાર અચાનક કાર સાથે ગૂમ થઈ ગયો હતો ત્યારે તેમના કાર સાથે મૃતદેહ મળ્યા છે.
પરિવાર ગૂમ થયાનો મામલો
નર્મદા કેનાલમાંથી કાર સાથે ચાર મૃતદેહ મળી આવ્યા
પાણીમાં ડૂબેલી હાલતમાં હતી કાર
પોલીસ સૂત્રના જણાવ્યાં અનુસાર ગુમ થયેલા પતિ-પત્નીનો મોબાઈલ લોકેશન આ વિસ્તારનું બતાવતું હતું. ડભોઈની હોટેલ પર જમ્યા બાદ આ વિસ્તારમાં પરિવાર આવ્યા હતો. કેનાલમાં ડૂબેલી હાલતમાં આ કાર મળી આવી છે. જેમાં પરિવારના પાંચ સભ્યોમાંથી ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. જોકે આ મામલે રાજપીપળા LCB પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. કલ્પેશભાઈના પત્ની સિવાય પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. આ મામલે વિસ્તૃત તપાસ ચાલી રહી છે.
શું છે સમગ્ર ઘટના?
વડોદરાના નવાપુરા વિસ્તારના એસ.આર.પી.ગ્રાઉન્ડ નજીક રહેતા કલ્પેશ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા પરમાર અને પોતાનો એક 9 વર્ષનો છોકરો અને 7 વર્ષની છોકરી સાથે પોતાની કાર GJ 06 KP 7204 માં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા ગત તારીખ 29 02 2020ના રોજ ગયા હતા. ત્યાર બાદથી તેઓ સંપર્ક વિહોણા હતા.
ફેસબુક ઉપર ફોટા મૂક્યા પણ પાછા ન આવ્યા
બાદ તેઓ સાંજે પોતાના ફેસબુક ઉપર સ્ટેટચ્યું ઓફ યુનિટીના ફોટા અપલોડ કરી વડોદરા જવા પરત નીકળ્યા હતા. ઘણો સમય વીતી જવા છતાં તેઓ પોતાના ઘરે ન આવતા એમના અન્ય પરિવારજનો એમની શોધખોળ આદરી હતી. તેમ છતા પણ આ પરિવાર ના મળી આવતા પરિવારના જ એક સંબંધીએ કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ બાદ પોલીસે આદરી તપાસ
આ ફરિયાદના પગલે નર્મદા પોલીસ સ્ટેચયુ ઓફ યુનિટીના CCTV કેમરા ચેક કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. નર્મદા, વડોદરા, છોટાઉદેપુર પોલીસ તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ આજે નર્મદાની કેનાલમાંથી પરિવારના ચાર સભ્યોના મૃતદેહ સાથે કાર મળી આવી છે.