વડોદરામાં અરવિંદ કેજરીવાલે જે પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ કર્યો હતો તે પાર્ટી પ્લોટને લઇને હવે રાજકારણ ગરમાયું છે. કારણ કે VMCની ટીમ તે પાર્ટી પ્લોટમાં દબાણ તોડવા પહોંચી હતી.
AAP અને પાર્ટી પ્લોટના માલિકે લગાવ્યો ગંભીર આક્ષેપ
વડોદરામાં આવેલા પ્રીત પાર્ટી પ્લોટ પર માંર્જીંગની જગ્યામાં બાંધકામ કર્યું હોવાનું કારણ જણાવી દબાણશાખાની ટીમ દબાણ તોડવા માટે JCB લઇને પહોંચી હતી. GDCRના નિયમ વિરૂદ્ધ બાંધકામ કર્યું હોવાનું કારણ આપી VMCની ટીમ દબાણ હટાવવા પાર્ટી પ્લોટે પહોંચી હતી. જોકે પાર્ટી પ્લોટના માલિક અને AAP દ્વારા દબાણશાખાની ટીમનો વિરોધ કરાતા VMCની ટીમ દબાણ તોડ્યા વિના પરત ફરી હતી. કારણ કે, આ મામલે AAPએ આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, 'આ જ પાર્ટી પ્લોટમાં અગાઉ કેજરીવાલનો કાર્યક્રમ યોજાયો હતો. કેજરીવાલના કાર્યક્રમમાં જગ્યા આપી હોવાથી દબાણ તોડવા આવ્યા હોવાનો AAPના લોકો આક્ષેપ લગાવી રહ્યાં છે.
જો દબાણ હશે તો હું જાતે દૂર કરીશ, મારું બધું જ બાંધકામ કાયદેસર છે: પાર્ટી પ્લોટના માલિક
બીજી બાજુ પાર્ટી પ્લોટના માલિક નવનીત પટેલનું એમ કહેવું છે કે, 'કેજરીવાલને કાર્યક્રમમાં પાર્ટી પ્લોટ આપ્યો હતો. આથી દબાણશાખાની ટીમ દબાણ કરવા આવી પહોંચી હતી. જો દબાણ હશે તો હું જાતે દૂર કરીશ. મારે ત્યાં ધારાસભ્યો, સંસદસભ્યો અને કોર્પોરેટરો મને એમ કહેવા આવ્યા હતા કે AAPવાળાને પાર્ટી પ્લોટ ના આપો. ત્યારે મે કીધું કે મને જે પૈસા આપે તેને મારે પાર્ટી પ્લોટ આપવાનો હોય. પછી ભલે કોંગ્રેસવાળા આવે કે ભાજપવાળા આવે કે પછી AAPવાળા આવે. મારે શું. કારણ કે હું તો ધંધો કરું છું. મારું બધું જ બાંધકામ કાયદેસર છે. આ પાર્ટી પ્લોટની જગ્યા જ બધી મારી છે.'
માર્જિનમાં શેડ કરેલો છે, જે ગેરકાયદેસર છે: TDO
આ અંગે TDO જીતેશ ત્રિવેદીએ નિવેદન આપતા કહ્યું કે, 'માર્જિનમાં શેડ કરેલો છે. જે લૉન કરેલી છે તે પાર્કિંગની જગ્યા છે. જે પાર્ટી પ્લોટ મંજૂર કરાવે એમાં GDCRના નિયમ મુજબ જે પાર્કિંગ હોવું જોઇએ એ ભાગમાં પાર્કિંગની જગ્યાએ લૉન કરેલું છે. માર્જિનની અંદર પણ જે ભાગ ખુલ્લો રાખવાનો હોય ત્યાં પણ ગેરકાયદેસર બાંધકામ કરેલું છે. એટલે કે હવે ગેરકાયદેસર બાંધકામ છે તેને દૂર કરાવીશું અને પાર્કિંગવાળી જગ્યામાં ભાગ પાક્કો કરાવીશું.
वडोदरा में गुजरात के बच्चों की शिक्षा पर बात करने के लिए जिन नवनीत काका जी ने अपना पार्टी हॉल हमें दिया था आज बीजेपी की सरकार उनकी प्रॉपर्टी तोड़ने के लिए बुलडोज़र लेकर पहुँच गई।
મહત્વનું છે કે, આ અંગે ખુદ અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કર્યું છે. તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું કે, 'વડોદરામાં ગુજરાતના બાળકોના શિક્ષણની વાત કરવા માટે જે નવનીતકાકાએ અમને તેમનો પાર્ટી પ્લોટ આપ્યો હતો. આજે ભાજપની સરકાર તેમની પ્રોપર્ટીને તોડવા માટે બુલડોઝર લઇને પહોંચી છે. શું દેશ આવી ગુંડાગીરીથી ચાલશે? આ વખતે ગુજરાતની જનતા આ ગુંડાગીરીનો જવાબ તેમના વોટથી આપશે.'