વડોદરા કોંગ્રેસમાં ઘમાસાણ તો ત્યારે સર્જાયું જયારે વડોદરા શહેર કોંગ્રેસના નેતાએ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરામાં આગમનને લઈને પોસ્ટ શેર કરી દીધી હતી. સર સયાજીરાવ ગાયકવાડની નગરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત છે તે અંગેની વડોદરા શહેર કોંગ્રેસના નેતા અમિત ઘોટીકરે પોસ્ટ વાયરલ કરી હતી.જેને પગલે રાજકીય વર્તુળોમાં તરહ-તરહની ચર્ચા જાગી હતી. આ મામલે કોંગ્રેસે નોટિસ પણ પાઠવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમિત ઘોટીકરે મૂકી હતી PMના આગમનને આવકારતી પોસ્ટ
ગુજરાત વિધાનસભાની ચુંટણીને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી તા.18 ના રોજ વડાપ્રધાન મોદી વડોદરાના મહેમાન બનશે. જે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આવા સમયે વડોદરા શહેરના કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને નેતા અમિત ઘોટીકરની પોસ્ટથી કોંગ્રેસમાં વિવાદનો મધપુડો છંછેડાયો છે. અમિત ઘોટીકર કોંગ્રેસના નેતા હોવા છતાં PMના આગમનને આવકારતી પોસ્ટ મૂકી હતી. તેમણે સર સયાજીરાવ ગાયકવાડની નગરીમાં નરેન્દ્ર મોદીનું સ્વાગત તેવી PM નરેન્દ્ર મોદીના તરફેણની પોસ્ટ કરતા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ અમિત ઘોટીકરને નોટિસ પાઠવી છે. નોટિસ પાઠવી આ મામલે ખુલાસો માંગવામાં આવતા ચર્ચા જાગી છે.
વડોદરામાં વડાપ્રધાનના હસ્તે અનેક કામોનું કરાશે લોકાર્પણ
વડાપ્રધાનના આગમનને લઈને વહીવટી તંત્ર કામે લાગી ગયું છે. દિવસ-રાત એક કરીને રોડ રસ્તા સહિતની કામગીરી આરંભી દેવાઈ છે. બીજી તરફ મેદાન ખાતે જર્મન સિસ્ટમથી 7 ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. વરસાદથી બચી શકાય તેવું પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન વડોદરાના લેપ્રીસી ગ્રાઉન્ડ ખાતે બપોરે 12:30 કલાકે ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત આવાસ યોજનાના 8,907 આવાસનું લોકાર્પણ કરવામા આવશે અને ગતિશક્તિ બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરશે. તે જ રીતે રેલવે વિભાગના વિવિધ પ્રોજેકટ અંતર્ગત 16,369 કરોડના વિવિધ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે.