વડોદરામાં 8 કલાકમાં 20 ઈંચ વરસાદ પડતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે સરકાર દ્વારા કેશ ડોલ આપવાની જાહેરાત કરાઈ હતી, પરંતું હજી સુધી સ્થાનિકોને કેશ ડોલ મળી નથી. તો પૂરના પાણી ઓસર્યા બાદ હવે રોગચાળો પણ પાટી નિકળયો છે. જ્યારે મેઘરાજાએ શહેરમાં ફરી રી એન્ટ્રી કરી છે અને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
શહેરમાં ફરી વરસાદ શરૂ, અતિભારે વરસાદની આગાહી
શહેરમાં અધુરામાં પુરુ એમ ફરી એક વખત વરસાદનું ચાલું થઇ ગયો છે. શહેરના સયાજીગંજ, ફતેહગંજ, અકોટા, આજવા રોડ, વાઘોડિયા રોડ અને રાવપુરામાં વરસાદ વરસ્યો છે. તો હવામાન વિભાગે વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ થયુ છે. આગાહીને લઈને તંત્રએ લોકોને કામ વગર ઘરની બહાર ન નિકળવાની અપીલ કરી છે.
સ્થાનિકોને હજુ કેશ ડોલ નથી મળી
વડોદરામાં ભારે વરસાદ બાદ પૂરગ્રસ્ત લોકોને કેશ ડોલ આપવાની જાહેરાત કરાઈ હતી. શહેરના સમા વિસ્તારમાં 300થી વધુ મકાન અને દુકાન પાણીમાં ડૂબ્યા હતા. આ વિસ્તારમાં 3 હજારથી વધુ લોકો ફસાયા હતા. સાંસદ રંજનબેન ભટ્ટનું ઘર પણ આ વિસ્તારમાં આવેલુ છે. સાંસદના વિસ્તારમાં હજી સુધી કેશ ડોલનું વિતરણ ન થતા લોકોમાં સાસંદ અને સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે.
પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ફાટી નીકળ્યો
વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે. ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. જે બાદ હવે રોગચાળો ફાટી નીકળ્યો છે. શહેરમાં ચાર દિવસમાં શરદી, ઉધરસના કેસોમાં વધારો થયો છે. ચાર દિવસમાં 31 હજાર 829 લોકોને શરદી, ઉધરસના કેસ નોંધાયા છે