ફરી એકવાર સોશિયલ મીડિયામાં ઉદયપુર હત્યાકાંડ વિશે કમેન્ટ કરતા મળી ધમકી, કનૈયાલાલ જેવી હાલત કરવાની ધમકી મળતા પોલીસમાં નોંધાઇ ફરિયાદ
વડોદરા ભાજપના નેતાને મળી જાનથી મારી નાંખવાની ધમકી
ઉદયપુર હત્યાકાંડ મામલે કરી હતી કમેન્ટ
અબ્દુલ સુબુર ચૌધરી નામના એકાઉન્ટમાંથી ધમકી મળી
રાજસ્થાનના ઉદેપુરમાં કનૈયાલાલની હત્યા બાદ લોકોમાં ભારે રોષની લાગણી ફરી વળી છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાને ભારે વખોડવામાં આવી રહી છે. પરંતુ હવે તો જે આ ઘટનાની ટીકા કે નિંદા કરે તેને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવે છે. સુરતના એક યુવક બાદ હવે વડોદરાના નિલેશ જાદવને જાનથી મારી નાંખવાની ધમકી મળી.
વડોદરા ભાજપના નેતાને મળી ધમકી
વાત જાણે એમ છે કે વડોદરાના પાદરા તાલુકાના ઉપપ્રમુખને ધમકી મળી છે કે તારી હાલત પણ કનૈયાલાલ જેવી થશે. કારણ એટલુ જ નિલેશ જાદવ કે જેઓ પાદરા તાલુકાના ઉપ પ્રમુખ છે તેઓએ 29 જૂનના રોજ ઉદયપુરની ઘટનાને લઇને કોમેન્ટ કરી હતી કે આવા અસામાજિક તત્વોની સંપત્તિ જપ્ત થવી જોઇએ. આ લોકોને કડકમાં કડક સજા થવી જોઇએ તેમજ તે લોકોને મદદ કરનારા લોકોને પણ સજા થવી જોઇએ. જેને લઇને અબ્દુલ સુબુર ચૌધરી નામના એકાઉન્ટમાંથી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જેમ ઉદેપુરમાં થયુ છે તેવી તારી હાલત કરીશ તેવી ધમકી આપવામાં આવી હતી.
પોલીસે હાથ ધરી તપાસ
હાલ ઘટનાને લઇને ઉપપ્રમુખ નિલેશ યાદવે વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને સુરક્ષાની માગ કરી છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે આવા અનેક લોકો છે જેઓને ઉદેપુર હત્યાકાંડનો વિરોધ કરવા બદલ ધમકીઓ આપવામાં આવે છે. પોલીસ દ્વારા મદદ તો કરવામાં આવે છે પરંતુ ક્યાં સુધી આમ જ ચાલતુ રહેશે. કોણ છે આ લોકો જેઓ બેફામ થઇ રહ્યા છે. હાલ પોલીસ ફરિયાદને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના યુવકને પણ મળી હતી ધમકી
ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા એક યુવકે કનૈયાલાલની હત્યા અંગે સખત શબ્દોમાં નિંદા કરી હતી. આ યુવકની કમેન્ટ પર ફૈઝલ નામના એક યુવક દ્વારા તેને ધમરી આપવામાં આવી અને લખ્યું કે ગુસ્તાક એ રસુલ કી એક હી સજા, સર તન સે જુદા. સુરતના આ યુવકને જાનથી મારી નાંખવાની ધમકી મળતા પરિવારમાં ચિંતાની લાગણી જોવા મળી. યુવકે અગમચેતીના ભાગરૂપે સમગ્ર ઘટના અંગે સુરત પોલીસ કમિશનર કચેરીમાં અરજી આપવામાં આવી હતી. ત્યાર બાદ ઉમરા પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું. હાલ યુવરાજને ગનમેનની સુરક્ષા આપવામાં આવી છે.