વડોદરા ભાજપ કોર્પોરેટરોએ એક થઈ મેયર અને શહેર પ્રમુખ સામે નારાજગી દર્શાવી, કહ્યું PM મોદીના સન્માન માટે નજીકના લોકોને જ કેમ આમંત્રણ અપાયું
વડોદરા ભાજપ કોર્પોરેટરોની નારાજગી
મેયર અને શહેર પ્રમુખ સામે કાઢ્યો બળાપો
વડોદરામાં પ્રધાનમંત્રીના પ્રવાસને લઇ ભાજપના કોર્પોટરોએ મેયર કેયુર રોકડિયાનો ઘેરાવ કરી બળાપો કાઢ્યો છે. કોર્પોરેટરોએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં લોકોને ભેગા કરવા ટાર્ગેટ આપવામાં આવે છે, તો તેમને મળવા કેમ દેવામાં આવતા નથી, જે લોકોને પક્ષમાં હોદ્દો નથી હોતો, તેવા લોકો પણ પ્રધાનમંત્રી મોદીને મળી શકે છે, તો કોર્પોરેટર કેમ મળી શકતા નથી.
PM મોદીના સન્માન માટે શહેર પ્રમુખ વિજય શાહે લાગતાં વળતાંનું લિસ્ટ બનાવ્યું: ભાજપના કોર્પોરેટરો
મેયરના આજવા પ્રોગ્રામ વખતે કોર્પોરેટરે આ બળાપો કાઢ્યો હતો.સાથે જ કોર્પોરેટરોએ વડોદરા શહેર પ્રમુખ વિજય શાહ સામે પણ બળાપો કાઢ્યો છે. વિજય શાહે પ્રધાનમંત્રી મોદીના સ્વાગત કરવા એરપોર્ટ જનારા લોકોનું લિસ્ટ તૈયાર કર્યું હતું. જેમાં વિજય શાહના નજીકના લોકોને જ સ્થાન મળતાં કોર્પોરેટરોએ નારાજગી દર્શાવી છે.
કોર્પોરેટરોને સાઈડ લાઇન કરવામાં આવ્યા
મહત્વનું છે કે 18 જૂનના PM મોદીના વડોદરા કાર્યક્રમને લઈ ખાસ તૈયારીઑ કરવામા આવી હતી. મોટી સંખ્યામાં જનમેદની પર ભેગી કરવામાં આવી હતી. જેના પીએમ મોદીએ પણ ભરપેટ વખાણ કર્યા હતા પણ આ બધાની વચ્ચે વડોદરા ભાજપ દ્વારા કોર્પોરેટરને માત્ર લોકો ભેગા કરવાનો ટાર્ગેટ સોંપવામાં આવ્યો હોય તેવા આરોપ થઈ રહ્યા છે. પીએમ મોદીના સ્વાગત માટે લાગતાં વળતાં નેતાનું લિસ્ટ વડોદરા ભાજપ દ્વારા બનાવવામાં આવ્યું હોય તેવી ફરિયાદ ઉઠી છે. ત્યારે સમગ્ર બાબતે ભાજપના મોટા ભાગના કોર્પોરેટર એક થઈ ગયા છે. મેયર અને વડોદરા શહેર પ્રમુખ વિજય શાહના વલણ સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે. સ્વાગત વિધિ ઉપરાંત આમંત્રણ પત્રિકામાંથી પણ કોર્પોરેટરોને સાઈડ લાઇન કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે શિસ્ત બદ્ધ ગણાતી ભાજપ પાર્ટી હવે વડોદરાના કોર્પોરેટરોની નારાજગી કેવી રીતે ખાળે છે તે જોવું રહ્યું?
પ્રધાનમંત્રી મોદીનો વડોદરા કાર્યક્રમ
18 જૂને વડોદરામાં 13 પ્રોજેક્ટનું PM મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રધાનમંત્રી મોદીએ રેલવેને 16 હજાર 369 કરોડના કામોની ભેટ આપીને રેલવેના 5 પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના નવા ભવનનું ખાતમુહૂર્ત કરી રૂપિયા 1 હજાર 749 કરોડની વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું.માતૃત્વ શક્તિ યોજના અને પોષણ સુધા યોજનાને લોન્ચ કરી હતી.