લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહીતના પક્ષો પોતાના મતક્ષેત્રમાં મત આપવાની અપીલ કરવા માટે નિકળે છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં નેતાઓએ મત માગવા માટે આવવું નહીં, નેતાના પ્રવેશ પર પ્રતિબંધ જેવા પોસ્ટરો લગાવ્યા છે. સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે ક્યા વિસ્તારના લોકો છે પ્રાથમિક સુવિધાના અભાવથી પરેશાન? શા માટે ચૂંટણી બહિષ્કાર?
વડોદરાઃ 11 સોસાયટીના સ્થાનિકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી
વડોદરાના કલાલી વિસ્તારમાં આવેલી 11 સોસાયટીના રહીશોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. 11 સોસાયટીના 5 હજારથી વધુ નાગરિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી રોડ, રસ્તા, ગટર, પીવાનું પાણીના અભાવના કારણે લોકો પરેશાન છે. સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે. આ મામલે ઘણી વખતે રજૂઆત કર્યા બાદ પણ કોઈ સમાધાન ન આવતા સ્થાનિકોએ મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠાઃ સમસ્યાનો ઉકેલ નહીં તો મત નહીં!
ડીસામાં પણ સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ડીસામાં આવેલી ચંદ્રલોક સોસાયટીમાં લોકો ગટર લાઇન, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે. જેના કારણે સ્થાનિકો હવે રોષે ભરાયા છે. સ્થાનિક લોકોની માગ છે કે, તેમના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન જે રોડ તોડી નખાયા હતા તે ફરીથી બનાવવામાં આવે. વરસાદી પાણી તેમજ ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે. ચીમકી ઉચ્ચારતા સ્થાનિકોએ કહ્યું કે, જો અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે કોઇને મત આપીશું નહીં.
સુરેન્દ્રનગરઃ મત માગવા નહીં તેવા લાગ્યા બેનર
સુરેન્દ્રનગરમાં વઢવાણમાં લોકોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. વઢવાણ નગરપાલિકાના વોર્ડ નંબર-8માં આવતી સોસાયટીના લોકો ગંદા પાણીની સમસ્યાથી પરેશાન છે. જેને લઇ તેઓએ સોસાયટી બહાર કોઇ પક્ષોએ મત માગવો નહીં તેવા બેનર લગાવી દીધા છે. સ્થાનિકો છેલ્લા કેટલાક સમયથી ગંદા પાણીની સમસ્યાથી પરેશાન છે અને જલદીથી આ સમસ્યાનો ઉકેલ આવે તેવી માગ કરી રહ્યા છે. જો ઉકેલ નહીં આવે તો મતદાન નહીં કરીએ તેવી ચીમકી ઉચ્ચારી છે.
અરવલ્લીઃ રાજકીય પક્ષના આગેવાનોને પ્રવેશબંધી
અરવલ્લીના મોડાસાના ભીલકુવા ગામમાં લોકોએ રાજનેતાઓના વિરોધમાં પોસ્ટર લગાવ્યા છે. રાજકીય પક્ષોના આગેવાનોને પ્રવેશબંધી ફરમાવી છે. પડતર પ્રશ્નો મુદ્દે ભીલકુવા ગામના લોકોએ બાયો ચઢાવી. ગ્રામ પંચાયત અલગ કરવા સહિતના મુદ્દે રોષ ઠાલવીને ચૂંટણીનો બહિષ્કાર કરવાનો માર્ગ અપનાવ્યો છે. ગામમાં રાજકીય આગેવાનોને પ્રવેશ માટે મનાઈ ફરમાવતા પોસ્ટર લગાવ્યા છે.