દેશમાં વાતો તો ખુબ મોટી-મોટી થાય છે. દેશના અર્થતંત્રને 5 ટ્રિલિયન ડૉલરનું બનાવવાની વાતો થાય છે. દેશના વિકાસને આસમાનની ઊંચાઈ સુધી લઈ જવાની વાતો થાય છે. પરંતુ કેટલો અને કેવો વિકાસ થઈ રહ્યો છે તે જાણીને તમને પણ ગુસ્સો આવી જશે. મુખ્યમંત્રી રૂપાણી ગુજરાતના વિકાસની વાતો કરી રહ્યા છે પરંતુ હકીકત કંઇક અલગ જ છે.
વડોદરાના 8થી 10 ગામ એવા છે જેમને રોજ ખુલ્લી રેલવે ફાટક ઓળંગવી પડે
નેશનલ ક્રાઈમ રેકોર્ડનો શું છે રિપોર્ટ?
ક્યાં સુધી લોકો આવા મોતને ઓળંગતા રહેશે ?
વડોદરાના બાજવા અને કોયલી ગામને જોડતા બ્રિજ જે બ્રિજ તો ન કહેવાય. કારણ કે વર્ષોથી બનતા બ્રિજ જે બનશે કે નહીં તેની ખબર નથી. કારણ કે, 8-10 ગામના લોકો બ્રિજ ન હોવાના કારણે ચાલીને રેલવેના પાટા ઓળંગે છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક ઘાયલ થયા છે. સરકારે લોકોની મુશ્કેલીને જોતા બ્રિજને મંજૂરી પણ આપી દીધી છે. બ્રિજનો કોન્ટ્રાક્ટ પણ વર્ષો પહેલા આપી દેવાયો છે. જે બાદ બ્રિજનું કામ પણ શરૂ થયું. પરંતુ બ્રિજ બનાવવાની સમય મર્યાદા 13 ફેબ્રુઆરી 2019માં જ પૂરી થઈ ગઈ. એટલે છે, સમય મર્યાદા પૂર્ણ થયાનું એક વર્ષ પુરું થવામાં માત્ર 11 દિવસોની જ વાત છે. પરંતુ નતો બ્રિજ બનવાની કતારે છે. કે ન તો પૂર્ણ થવાની. હજુ તો અડધો બ્રિજ જ બનાવવાનો બાકી છે.
બ્રિજની હાલત જોતા એવું પણ ન કહી શકાય કે, કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. કારણ કે, અહીં કોઈ ફરકતું જ નથી. બીજી તરફ લોકો રોજે-રોજ મોતને માત આપતા રેલવેના પાટા ઓળંગવા માટે મજબૂર છે. મહિલાઓ પોતાના બાળકો સાથે પાટા ઓળંગાવે છે. કામે જતા લોકોને પાટા ઓળંગીને જાય છે. તેમની આગળ-પાછળથી ટ્રેનો પસાર થાય છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડનો શું છે રિપોર્ટ ?
અહીં અમે થોડું રિસર્ચ કર્યું તો એક ચોંકાવનારો રિપોર્ટ પણ અમારા હાથ લાગ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડના આ રિપોર્ટ પ્રમાણે, દેશમાં લગભગ 1048 જેટલા માનવરહિત રેલવે ક્રોસિંગ છે. જેમાંથી સૌથી વધુ ગુજરાતમાં 361 માનવરહિત રેલવે ક્રોસિંગ હોવાનો ખુલાસો થયો છે. એટલું જ નહીં અત્યાર સુધીમાં માનવરહિત રેલવે ક્રોસિંગ પર અકસ્માતના 18 હજરા 414 બનાવ નોંધાયા હતા. આ આંકડા એટલા માટે બતાવવા પડ્યા કારણ કે, વડોદરામાં પણ આવી જ સ્થિતિ સામે આવી છે.
ક્યાં સુધી લોકો આવા મોતને ઓળંગતા રહેશે ?
ત્યારે એ સવાલ થાય છે કે ક્યાં સુધી લોકો આવા મોતને ઓળંગતા રહેશે ? ક્યારે આ બ્રિજનું અધૂરું કામ પૂર્ણ થશે ? કામ પૂર્ણ કરવાની મુદ્દતનું એક વર્ષ પૂર્ણ થઈ ગયું છતાં તંત્ર કેમ ચૂપ છે ? બાળકો, મહિલાઓને અને અન્ય લોકોને કંઈ થયું તો જવાબદાર કોણ ? એવો તો કોણ ઢીલો કોન્ટ્રાક્ટર છે જેને આ બ્રિજનું કામ સોંપવામાં આવ્યું છે? આજે અમે તો અમારી ફરજ અદા કરી અને લોકોનો ગુસ્સો અને તેમની માગને સરકાર સુધી અને તંત્રના ઊંઘતા અધિકારીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આશા રાખીએ છીએ કે આ પ્રયાસ વિફળ ન જાય.