ગુજરાતમાં કોરોનાના કેસ દિવસેને દિવસ વધી રહ્યા છે. ત્યારે બુધવારે બપોર બાદ વડોદરામાં 5 અને ભાવનગરમાં વધુ 2 કેસ નોંધાયા છે. વડોદરા અને ભાવનગરમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો છે. ભાવનગરમાં બુધવારે આખા દિવસના કુલ કોરોનાના 4 પોઝિટિવ કેસની પુષ્ટિ થઇ છે. જેને લઇને ભાવનગરમાં અત્યાર સુધી કુલ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 18 થયો છે. જ્યારે રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 186 થયા છે. આ અંગે આરોગ્ય અગ્ર સચિવે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી.
ભાવનગરમાં વધુ 2 કોરોના પોઝિટિવ
વડોદરામાં 5 કોરોના પોઝિટિવ
રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 186
કોરોના મુદ્દે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજે કોરોના વાયરસના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં આજે 5 કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે ભાવનગર 1 દર્દીનું મોત થયું છે એજ વિસ્તારમાંથી આ કેસ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં કુલ 186 કોરોનાના કેસમાંથી 145 હાલ એક્ટિવ છે.
બુધવારે બપોર બાદ વડોદરાના નાગરવાડામાં 5 અને ભાવનગરમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 186 કેસ નોંધાયા છે. તેમજ અત્યાર સુધીમાં 16 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 25 જેટલા દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.
જયંતિ રવિએ કહ્યું કે, ગુજરાત સરકારને કોરોનાને આગળ વધતો રોકવામાં સફળતા મળી રહી છે. આજના તમામ 7 નવા કેસ હોટસ્પોટ વિસ્તારના જ છે. ગુજરાતમાં નક્કી કરાયેલા હોટસ્પોટ સિવાયના બીજા દર્દીઓ નથી મળ્યા. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે, જેમને કોરોનાના લક્ષણ ન જોવા મળતા હોય તેવા પણ દર્દીઓ જોવા મળ્યા છે.
કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક જાણ કરો
જયંતિ રવિએ કહ્યું કે, જેમને કોરોના લક્ષણો હોય તે 104 નંબર પર ફોન કરે. 104, 108 અથવા જિલ્લા કક્ષાની હોસ્પિટલોને જાણ કરો. અમદાવાદમાં 079-22688028 પર જાણ કરી શકાશે.
14 મહિનાના બાળકના મોત અંગે ખુલાસો
જામનગરમાં 14 મહિનાના બાળકના મોતને લઇને આરોગ્ય વિભાગે ખુલાસો કર્યો છે. જયંતિ રવિએ જણાવ્યું કે, જામનગરમાં માતા-પિતાને કોરોનાન ન હોય અને બાળકને ઇમ્યુનિટી ઓછી હોય એવું બને. બાળક જેમના પણ સંપર્કમાં આવ્યું તે તમામ 44 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જામગનરના કિસ્સામાં અમે હજુ પણ સંશોધન કરી રહ્યા છીએ.
ભાવનગરના 3 વિસ્તાર ક્લસ્ટર કન્ટેમ્પમેન્ટ
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 40 હજાર લોકોને ક્લસ્ટર કન્ટેમ્પમેન્ટ એરિયામાં સીલ કરાયા છે. ભાવનગર મહાનગર પાલિકાએ 3 વિસ્તારના ક્લસ્ટર કન્ટેમ્પમેન્ટ એરિયાના નકશા જાહેર કર્યા છે. મહાનગરપાલિકા દ્વારા વડવા સીદીવાડ, સાંઢિયાવાડ અને મઢિયાફળીના નક્શા જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આ વિસ્તારમાં લોકો ઘરની બહાર નહીં નિકળી શકે.
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં વધુ 5 પોઝિટિવ કેસ
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન 5 નવા કોરોના વાયરસના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં નાગરવાડા સૈયદપુરામાં 204 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી કુલ 9 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. આ વિસ્તારમાંથી વધુ 300 જેટલા સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવશે.