કોઈપણ વ્યક્તિના આકસ્મિક મૃત્યુ બાદ સરકારી દવાખાનામાં તેનું પોસ્ટમોર્ટમ કરવું ફરજિયાત છે. ત્યારે વડોદરાના નામાંકિત બિલ્ડર મિહિર પંચાલના મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ માટે બાજવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા.
જ્યાં તારીખ 20ના રોજ તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. હવે પોસ્ટમોર્ટમની પ્રક્રિયામાં વિશેરા રિપોર્ટ કરવાની વાત સામે આવતા ફાઈનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા નથી.
ત્યારે આ સમગ્ર પ્રક્રિયાને લઇને નવા સવાલો ઉભા થયા છે કારણ કે પહેલા ડોક્ટરના ચોપડે એટલે કે આરોગ્ય કેન્દ્રના રજીસ્ટરમાં વ્યક્તિના નામની નોંધણી કરવાની હોય છે જે કરી નહોતી જેથી હવે આ પ્રકરણમાં નવો વિવાદ સર્જાયો છે કે શા માટે ડોક્ટર ખાન દ્વારા મૃતક વ્યક્તિના નામની નોંધણી કરવામાં આવી નથી?
આટલા મોટા હાઈપ્રોફાઈલ બિલ્ડરના મૃત્યુ બાદ હજી પણ સાચું કારણ બહાર નથી આવ્યું. ત્યારે પહેલા રજીસ્ટરમાં નામ નહિ નોંધવાની મોટી ભૂલ કેવી રીતે કરી?
જોકે સમગ્ર મામલે જ્યારે અમે બાજવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે ડોક્ટર ખાન પોતે હવે રજા પર ઉતરી ગયા છે અને તેમની પેનલના બીજા ડો અલ્પા શાહ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર હાજર હતા. ત્યારે આ સમગ્ર મામલે સાચી વાત જાણવાનો પ્રયાસ કર્યો હતો.
ડોક્ટર અલ્પા શાહના કહેવા પ્રમાણે તેમણે બે દિવસ બાદ મિહિર પંચાલના નામની નોંધણી તો કરી દીધી છે. તેમને કારણ આપ્યુ હતુ કે તેમને નામમાં ભુલ ન જાય તે માટે મોડા લખ્યું હતું.
જોકે સાચું કારણ મુખ્ય ડોક્ટર ખાનના આવ્યા બાદ સામે આવશે. હાલ આ રોજ નવી બાબતો સામે આવતા અકસ્માત કે ષડયંત્ર જેવા અનેક સવાલો સામે આવી રહ્યા છે.