આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યુ છે કે, કોવિડ-19થી રાજ્યના બાળકોને સુરક્ષિત કરવા માટે રાજ્યભરમાં આગામી તા.3જી જાન્યુઆરીથી 9મી જાન્યુઆરી દરમિયાન વેક્સિનેશન માટે ખાસ અભિયાન હાથ ધરાશે. તા.7મી જાન્યુઆરીએ મહા અભિયાન હેઠળ એક પણ બાળક રહી ન જાય તે માટે સંનિષ્ઠ પ્રયાસો કરાશે. આજે રાજ્યના મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર સાથે આ અભિયાનની તૈયારીની ચર્ચા વિચારણા માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને તમામ માર્ગદર્શન પુરુ પડાયુ હતું.
અગ્રવાલે આ અંગે મીડિયાને વિગતો આપતા કહ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ વેક્સિનેશન અભિયાનની સંપૂર્ણ તૈયારી કરીને તમામ વ્યવસ્થાઓ કરી દેવાઈ છે. આ અભિયાન હેઠળ 15 થી 18 વર્ષના અંદાજે 36 લાખ બાળકોને આવરી લેવાનું આયોજન છે. જેમાં શાળાઓ, આઈટીઆઈ કે શાળાએ ન જતા બાળકોને પણ આવરી લેવાશે. ઉપરાંત દિવ્યાંગ સંસ્થાઓ, અનાથાશ્રમો તથા માનસિક રીતે અસ્વસ્થ હોય તેવા બાળકોને સાચવતી સંસ્થાઓને પણ આવરી લેવાશે.
તેમણે ઉમેર્યું કે આ બાળકોને હાલ કોવેક્સિનની રસીનો પ્રથમ ડોઝ અપાશે. આ માટે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં અંદાજે 3500થી વધુ સેન્ટરો કાર્યરત કરાશે અને સ્થાનિક કક્ષાએ જરૂરિયાત મુજબ સેશન વધારાશે તેમજ સેશનનો સમય હાલ જે સવારે 9 કલાકથી 6 કલાક છે તે પણ વધારવાનું આયોજન કરાયું છે.
આ માટે તારીખ પહેલી જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયુ છે તેમજ ઓન ધ સાઈટ પર પણ રજિસ્ટ્રેશન કરી શકાશે. રજીસ્ટ્રેશન સમયે આધારકાર્ડ, વાહનનું લાઈસન્સ હોય તો તેનાથી રજીસ્ટ્રેશન થશે. આવા કોઈ પુરાવા ન હોય તો પણ બાળક રસીથી વંચિત ન રહે એ માટે કોઈ એક મોબાઈલ નંબર આપવાનો રહેશે. જેમાં માતા-પિતા, મિત્ર કે શાળાના શિક્ષક-આચાર્યનો મોબાઇલ નંબરથી પણ રજિસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે આ અભિયાન હેઠળ તારીખ 7મી જાન્યુઆરીએ રાજ્યભરમાં ખાસ મહા અભિયાન હાથ ધરાશે. જેમાં તમામ બાળકો અને ધોરણ-10માં અભ્યાસ કરતા બાળકોના રસીકરણ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે જેથી બોર્ડની પરીક્ષાના સમયે કોઈપણ પ્રકારની તકલીફ પડે નહીં.
અગ્રવાલે ઉમેર્યુ કે 60 વર્ષથી વધુ વયના કોમોર્બિડ વયસ્કો, ફ્રન્ટ લાઇન વર્કર, હેલ્થ વર્કરને પણ આગામી તા. 10મી જાન્યુઆરીથી પ્રોત્સાહક ડોઝ આપવા માટે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ છે. જેમાં અંદાજે 13થી 14 લાખ વયસ્કોનો ડેટા આરોગ્ય વિભાગ પાસે તૈયાર છે. તેમજ બીજા ડોઝ બાદ 39 અઠવાડિયા પૂર્ણ થશે તેમ તેમ તમામને આ પ્રોત્સાહક ડોઝ આપવાનું આયોજન કરી દેવાયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
અમદાવાદમાં શાળામાં જ રજિસ્ટ્રેશન સાથે વેક્સિન
3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવામાં આવશે જેને લઇને અમદાવાદ મનપાએ તૈયારીઓ કરી છે. અમદાવાદમાં 2.5 લાખ વિદ્યાર્થીઓને કોવેક્સિન આપવામાં આવશે. બાળકોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત નથી. શાળામાં જ ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરી વેક્સિન અપાશે. રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીને હેલ્થ સેન્ટર પર વેક્સિન લેવાની રહેશે. આધારકાર્ડ અથવા સ્કૂલ આઇકાર્ડના આધારે વેક્સિન અપાશે...AMCની 400 ટીમો દ્વારા શાળાઓમાં વેક્સિનેશન કરાશે. 7 દિવસમાં 700 શાળાઓમાં વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરાશે. દરરોજ 80 શાળાઓમાં વિદ્યાર્થીઓને વેક્સિન અપાશે. દરેક સ્કૂલમાં બે ટીમો દ્વારા વેક્સિન આપવાની કામગીરી થશે. AMCએ શાળાના આચાર્યો સાથે બેઠક કરી માર્ગદર્શન આપ્યું છે...અર્બન સેન્ટર ખાતે પણ 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિન અપાશે