રાજ્યના તમામ જિલ્લાઓની શાળા-કોલેજોમાં કોરોના રસીકરણના કેમ્પસનું આયોજન કરવામાં આવશે. આવા કેમ્પના આયોજન દ્વારા શાળા-કોલેજોના 18થી ઉપરની વયના વિદ્યાર્થીઓ, રસીકરણ માટે પાત્રતા ધરાવતા કર્મચારીઓ, શિક્ષકો અને તેમના પરિવારજનોને કોરોના વેકસીનેશન અંતર્ગત આવરી લેવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, ઊર્જા મંત્રી સૌરભ પટેલ, તેમજ મુખ્ય સચિવ અનિલ મૂકીમ અને વરિષ્ઠ સચિવોની મળેલી કોર કમિટિની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શિક્ષકદિન સુધી તમામ શિક્ષક અને પ્રોફેસરોને રસી આપવાનું આયોજન
ભારત સરકારે આગામી પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન સુધીમાં બધા જ શિક્ષકોને કોરોના વેકસીનના સુરક્ષા કવચ અન્વયે આવરી લેવા રાજ્યોને આપેલા દિશા નિર્દેશને પગલે ગુજરાતમાં પણ આ વ્યવસ્થા રાજ્ય સરકારે ઊભી કરવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય વિભાગ અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આ સંદર્ભમાં જણાવ્યું કે, શાળા-કોલેજોમાં કોરોના વેકસીનેશન કેમ્પ માટે જિલ્લાઓને વેકસીનનો વધારાનો જથ્થો પણ ફાળવવાની સૂચનાઓ કોર કમિટિમાં મુખ્યમંત્રીએ આપી છે.
ગુજરાતમાં સંપૂર્ણ શિક્ષણકાર્ય શરૂ થવાની આરે
રાજ્યમાં ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, રાજ્યમાં ધોરણ 6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી શરૂ થશે. 20 હજારથી વધુ સરકારી-ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના વર્ગો શરૂ થશે. ગુજરાતમાં 6થી 8ના વર્ગમાં ભણતા અંદાજિત 32 લાખ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. શાળાઓમાં 50 ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. હાલમાં ગુજરાતમાં ધોરણ 9થી 12નું શૈક્ષણિક કાર્ય ઓફલાઈન ચાલી રહ્યું છે.
ધોરણ 9થી 12મા લાગૂ પડતી SOP ધોરણ 6થી 8મા પણ લાગૂ પડશે. ઓફલાઇન અને ઓનલાઇન બન્ને વર્ગ ચાલુ રહેશે. સ્કૂલમાં સામાજિક અંતરનું પાલન કરવુ પડશે. સાથે જ વિદ્યાર્થી અને શિક્ષકે માસ્ક ફરજીયાત પહેરવું પડશે. તો સંસ્થાએ હેન્ડવોશ અને સેનેટાઇઝની વ્યવસ્થા કરવાની રહેશે. શાળાએ આવવા માટે વાલીઓની લેખિત સહમતિ હોવી જરૂરી છે.