નવી દિલ્હીઃ ૧૭મી લોકસભામાં આવનારા સભ્યોના સ્વાગતની તૈયારીઓની વચ્ચે ભારતીય લોકતંત્રના સૌથી મોટા મંદિર એટલે કે સંસદને સંરક્ષિત કરવાની તૈયારીઓએ પણ જોર પકડ્યું છે. આ દિશામાં જે મહત્ત્વનાં પગલાં ભરાયાં છે તેમાં સંસદ ભવનને ગરમી, વરસાદ અને પ્રદૂષણની સાથે જળ વાયુ પરિવર્તનના પ્રભાવથી બચાવવા માટે યુવી પ્રોટેક્શન આપવાનું છે. હાલમાં તેને લઇને કામ શરૂ થઇ ચૂક્યું છે.
પહેલા તબક્કામાં સંસદ ભવનમાં રહેલા ગૂંબજોને તેનાથી સંરક્ષિત કરાશે. ભવનમાં હાલના સમયમાં સેન્ટ્રલ હોલ સહિત લોકસભા, રાજ્યસભા અને લાઇબ્રેરી હોલને એકઠાં કરીને ચાર ગૂંબજ છે. સંસદ ભવનને મોસમની ખરાબ અસરથી બચાવવા માટે આ ક્રમમાં સેન્ટ્રલ હોલના ડોમને (ગુંબજને) યુવી પ્રોટેક્શન અપાયું છે, જ્યારે રાજ્યસભાનાં ગુંબજને પણ આ કવચથી રક્ષા અપાઇ છે.
અધિકારીઓએ જણાવ્યું કે હવે લોકસભા અને હાલના ગુંબજોને આવું જ સુરક્ષાત્મક કવચ અપાશે. આ હેઠળ આ ગુંબજોને ખાસ પ્રકારનું અલ્ટ્રાવાયોલેટ કોટિંગ આપવામાં આવે છે, જેનાથી તે કોઇ પણ બહારના પ્રભાવથી બચી જાય છે. સંસદ ભવનના સંરક્ષણને લઇને આ ઝડપ તે સમયે દેખાય છે, જ્યારે ઐતિહાસિક ભવનને ૧૦૦ વર્ષ પૂરાં થવાનાં છે.
રિપોર્ટ મુજબ આ ભવનનું નિર્માણ ૧૯૨૧માં શરૂ થયું હતું, જ્યારે ૧૯૨૭માં તે ખોલવામાં આવ્યું હતું. આ ભવનનું નિર્માણ ખાસ પ્રકારના પથ્થરોથી કરાયું છે. ભવનના ઘણા પથ્થર વચ્ચે ખરાબ થયા હતાં. એ બધા પથ્થરોનાં બદલે એ જ પ્રકારનાં બીજા પથ્થર લગાવાશે.
દુનિયામાં હેરિટેજ ભવનોને સંરક્ષિત કરવા અપનાવાતી યુવી પ્રોટેક્ટિંગ ટેક્નિક હેઠળ ભવન પર એક ખાસ પ્રકારનાં રસાયણનો લેપ કરાય છે, જેનાં કારણે તેની પર ગરમી, વરસાદ અને પ્રદૂષણ સહિત જલ વાયુ પરિવર્તનની ખરાબ અસર થતી નથી અને તેનું આયુષ્ય વધી જાય છે. અમેરિકા બ્રિટન જેવા દેશોમાં રાષ્ટ્રીય મહત્ત્વના હેરિટેજ ભવનોને તેનાથી સંરક્ષિત કરાય છે. સંસદભવનના સંરક્ષણનું આ તમામ કામ કેન્દ્રીય લોકનિર્માણ વિભાગની એક વિશેષ ટીમ કરી રહી છે.