ઉત્તરાયણ મુદ્દે હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજી પર સરકારે જવાબ રજૂ કર્યો છે. જેમાં મોટી સંખ્યામાં ધાબા પર લોકો એકઠા નહીં થઇ શકે તેમ જણાવ્યું છે.
ઉત્તરાયણ મુદ્દે હાઇકોર્ટમાં સરકારનો જવાબ
મોટી સંખ્યામાં ધાબા પર લોકો એકઠા નહી થઇ શકે
પતંગ પર ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણ નહીં લખી શકાય
રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ આપતા કહ્યું કે પતંગ પર ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણ નહીં લખી શકાય. તેમજ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે.
દિવાળીની તહેવારમાં સરકારે ભૂલ સ્વીકારી
ઉત્તરાયણ મુદ્દે હાઇકોર્ટમાં સરકારે જવાબ આપતા પોતાની ભૂલ સ્વીકારી છે. જેમાં સરકાર દ્વારા જણાવામાં આવ્યું કે કોરોનાકાળ દરમિયાન દિવાળીના તહેવારમાં છૂટછાટ આપવી એ ભૂલ હતી. સરકારે કોર્ટમાં જણાવ્યું કે એકવાર ભૂલ થઇ બીજી વાર ભૂલ નહીં થાય. દિવાળી વખતે બંદોબસ્તમાં ભૂલ થઇ હોવાનું પણ રાજ્ય સરકારે સ્વીકાર્યું
ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણની ઉજવણીને લઇને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેને લઇને આજે સુનાવણી હાથ ધરવામાં આવી જેમાં રાજ્ય સરકારે અંગે પોતાનો જવાબ રજૂ કર્યો છે.
ઉત્તરાયણ પર રોક લગાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જો કે તેની પર રોક લગાવવાની અરજીના વિરોધમાં વેપારીઓએ પણ અરજી કરી છે.
ઉત્તરાયણની ઉજવણીનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો હતો. જેમાં કોરોનામાં ઉત્તરાયણની ઉજવણી પર રોક લગાવા તેમજ પતંગ બજારમાં ભીડ ભેગી ન થાય તેવી અરજદારે માંગ કરી હતી. આ સાથે બજાર - ધાબા પર લોકોની ભીડ થવા પર પ્રતિબંધ મુકવા માગ કરી હતી. આ સાથે સરકાર જરુરી માર્ગદર્શિકા જારી કરે તેવી અરજદારે કોર્ટમાં કરેલી અરજીમાં માગ કરી હતી. જેને લઇને હાઇકોર્ટે રાજ્ય સરકારને વલણ સ્પષ્ટ કરવા હુકમ કર્યો હતો.
ઉત્તરાયણને લઇને 108નો એકશન પ્લાન તૈયાર
ઉત્તરાયણને લઇને 108 દ્વારા એકશન પ્લાન તૈયાર કર્યો છે. 108ના કર્મચારીઓ ઉત્તરાયણના દિવસે તૈનાત રહેશે. 622 જેટલી એમ્બ્યુલન્સ વિવિધ જિલ્લાઓમાં કાર્યરત રહેશે. આ સાથે પક્ષીઓની મદદ માટે કરુણા અભિયાન કરવામાં આવશે. 50થી વધુ એમ્બ્યુલન્સ કરુણા અભિયાન માટે ફાળવવામાં આવશે.