ઉત્તરાખંડ સરકારે પાંચ દવાઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો
ભૂલથી રોક લાગ્યો હોવાનું ડ્રગ રેગ્યુલેટર પત્રમાં જણાવ્યું
ઉત્તરાખંડ સરકારે યોગ ગુરુ બાબા રામદેવની દિવ્ય ફાર્મસીની પાંચ દવાઓ પર લાદવામાં આવેલ પ્રતિબંધ ત્રણ દિવસમાં પાછો ખેંચી લીધો છે. ઉત્તરાખંડ આયુર્વેદ અને યુનાની લાઇસન્સિંગ ઓથોરિટીએ શનિવારે સત્તાવાર માહિતી શેર કરી હતી. દિવ્યા ફાર્મસીનો દાવો છે કે આ દવાઓ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ગોઇટર, ગ્લુકોમા અને ઉચ્ચ કોલેસ્ટ્રોલની સારવાર કરી શકે છે. ઉત્તરાખંડ ડ્રગ રેગ્યુલેટરે આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે અમે અગાઉનો આદેશ ઉતાવળમાં જારી કર્યો હતો અને તે એક ભૂલ હતી. અગાઉ 9 નવેમ્બરના રોજ રાજ્ય સત્તાધિકારીએ બીપી ગ્રિટ, મધુગ્રિટ, થાઇરોગ્રિટ, લિપિડોમ અને ઇગ્રિટ ગોલ્ડ ટેબ્લેટ નામની દવાઓ પર પ્રતિબંધનો આદેશ આપ્યો હતો.
ભૂલથી રોક લાગી ગયો
હવે ઉત્તરાખંડના ડ્રગ રેગ્યુલેટર ડૉ. જીસીએન જંગપાંગીએ શનિવારે જારી કરેલા પત્રમાં જણાવ્યું હતું કે, "આ ડિરેક્ટોરેટ દ્વારા જારી કરાયેલ 9 નવેમ્બરના રોજના અગાઉના આદેશમાં સુધારો કરીને અમે દવાઓ (પાંચ ઉત્પાદનો)નું ઉત્પાદન પહેલાની જેમ ચાલુ રાખવાની મંજૂરી આપીએ છીએ."
ઉતાવળમાં આદેશ જાહેર કરી દીધો હતો
જંગપાંગીએ કહ્યું, “અમે અગાઉનો આદેશ ઉતાવળમાં જારી કર્યો હતો અને તે એક ભૂલ હતી.અમે દિવ્યા ફાર્મસીને નવો ઓર્ડર જારી કરીને પાંચ દવાઓ (ઉત્પાદનો)નું ઉત્પાદન ચાલુ રાખવાની મંજૂરી આપી છે.જંગપાંગીએ એચટીને જણાવ્યું હતું કે, ઉત્પાદન પર પ્રતિબંધ મૂકતા પહેલા અમે કંપનીને તેનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા માટે સમય આપવો જોઈતો હતો.