ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટવાથી મોટી હોનારત સર્જાઇ છે. ચમોલી જિલ્લા જોશીમઠમાં ગ્લેશિયર તૂટવાથી ધૌલીગંગા નદીમાં પુર આવી ગયું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે ઘટના સ્થળે પહોંચીને માહિતી મેળવી છે. ત્યારે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી છે.
ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટવાથી મોટી હોનારત
વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે કરી વાતચીત
ઋષિ ગંગામાં ડેમ તૂટવાની ઘટના સમયે 50 ગુજરાતીઓ હાજર હતા
ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી હોનારત સર્જાઇ છે. 10 મૃતદેહ મળ્યા છે, તપોવન ટનલમાં 15-20 લોકો ફંસાયા છે, જેમનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. પુરનું પાણી ફેલાવાની શક્યતા છે, જોકે આસપાસના વિસ્તારોથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આનાથી ઋષિગંગા પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે. આઈટીબીપી, એનડીઆરએફ અને એસડીઆરજીની કેટલીક ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વારમાં અલર્ટ છે.
વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે કરી વાતચીત
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફોન પર વાત કરી જણાવ્યુ હતું કે ગુજરાતના પ્રવાસીઓને તાત્કાલિક રેસ્ક્યુ કરીને પૂરમાં ફસાયેલા પ્રવાસીઓને મદદ કરવા અંગેની વાત કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના CSને જરૂરી મદદ પહોંચાડવા આદેશ કર્યા છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું કે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે પૂરની પરિસ્થિતિમાં ફસાયેલા ગુજરાતના યાત્રાળુઓના તાત્કાલિક બચાવ અને સહાય માટે અનુરોધ કર્યો હતો. ગુજરાતના મુખ્ય સચિવે પણ આ અંગે જરૂરી કાર્યવાહીના આદેશ આપ્યા હતા.
CM Shri @vijayrupanibjp spoke to Uttarakhand CM Shri @tsrawatbjp and requested him for immediate rescue and assistance for the pilgrims from Gujarat trapped in the flood situation and also directed Gujarat Chief Secretary to take necessary action in this regard.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે, ગુજરાતીઓની સલામતી માટે ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં છે. સૌની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરૂ છું. ઉત્તરાખંડ સરકારે ગુજરાતીઓને મદદની ખાતરી આપી છે.
ઉત્તરાંખડમાં 50 ગુજરાતીઓ હાજર હતા
ઉત્તરાખંડમાં ઋષિ ગંગામાં ડેમ તૂટવાની ઘટના સમયે 50 ગુજરાતીઓ હાજર હતા. તમામ 50 ગુજરાતીઓ સુરક્ષિત છે. ગુજરાતી પ્રવાસીઓનો સામાન હરિદ્વારમાં ફસાયો છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના 50 લોકો હાલ સુરક્ષિત છે.
ઉત્તરાખંડની દુર્ઘટનાને લઇને ITBPના DGનું નિવેદન
DGએ કહ્યું કે, 100થી વધુ કાર્યકરો સાઇટ પર કરતા કામ હતા. અત્યાર સુધી નદીમાંથી 10 મૃતદેહ મળ્યા. અન્ય લોકોની શોધખોળ માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. ITBPના 250 જવાનો સાઇટ પર સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. ટુંક સમયમાં જ આર્મીની ટીમ પણ રેસક્યુ ઓપરેશનમાં જોડાશે.
જલ-પ્રવાહનો વિકારાળ રુપ જોવા મળી રહ્યો છે
સમાચાર એજન્સી એએનઆઈએ એક વીડિયો રજૂ કર્યો છે, જેમાં ગ્લેશિયરના તૂટ્યા બાદ જલ-પ્રવાહનો વિકરાળરુપ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રેની ગામ પાસે ધોલીગંગામાં જલ પ્રવાહ વધી ગયો છે. વીડિયોમાં ધૌલીગંગામાં પૂરનાં ભયાવહ દૃશ્યો જોવા મળે છે. જાણવા મળી રહ્યું છે કે નદી કિનારે ઘણાં ઘરો નષ્ટ થઈ ગયા છે. અમુક લોકો ઘાયલ થયા હોવાનાં પણ સમાચાર મળી રહ્યા છે.
આઈટીબીપીનાં જવાનો ઘટના સ્થળે પહોંચવા રવાના
આ ઘટના સ્થળે બચાવ કાર્ય માટે ઘણાં આઈટીબીપીનાં જવાન નીકળી ગયા છે. હાલ ત્યાં સ્થિતિ પૂરી રીતે સ્પષ્ટ નથી થઈ રહી અને નુક્સાનનો પણ અંદાજ સામે નથી આવી રહ્યો. પણ જેવી રીતે આપદાની ખબર આવી રહી છે તે ખૂબ વિકરાળ બની શકે તેવી શક્યતા છે. જાણવા મળી રહ્યુ છે કે, પહાડી પર ગ્લેશિયરનો એક ભાગ તૂટીને ડેમ પર પડ્યો. જેનાં લીધે જેમનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થવાને લીધે ડેમનું પાણી ઝડપથી અલકનંદા નદીમાં જઈ રહ્યુ છે. અલકનંદા નદીનો પ્રવાહ વધવાને લીધે કેન્દ્રિય જલ આયોગે પોતાની દરેક ચોકીઓને એલર્ટ પર રાખી છે. ઋષિકેશ તથા હરિદ્વારમાં 6થી 7 કલાકની અંદર આ પાણી પહોંચી શકે તેવો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.
150થી વધુ લોકો તણાયાની આશંકા
ઉલ્લેખનીય કે, જોશીમઠની આજુબાજુનો વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત છે. ઉત્તરાખંડ સરકારના મુખ્ય સચિવે આ દરમિયાન કહ્યું છે કે ગ્લેશિયર ધસી પડવાની દુર્ઘટનામાં 100 થી 150 લોકો તણાઈ ગયા હોવાની આશંકા છે. અગાઉ, સ્થાનિક વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આ ઘટનામાં 10,000 થી વધુ લોકોની અસર થાય છે.
PM મોદી તથા અમિત શાહ સ્થિત મુદ્દે કરી રહ્યા છે સમીક્ષા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે વર્તમાન સ્થિતિ મુદ્દે જાણકારી મેળવી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રીને રાહત અને બચાવ કાર્ય વિશે સંભવિત જાણકારી હાંસલ કરી હતી. તથા એરલિફ્ટ દ્વારા NDRFની ટીમ પણ રવાના કરવાના આદેશ આપ્યા છે.
રાહુલ ગાંધીએ કોંગ્રેસી કાર્યકરોને બચાવ કામગીરીમાં જોડાવાની કરી અપીલ
ચમોલીમાં ડેમ તૂટવાનો મામલે કોંગ્રેસના પીઢ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યકત કર્યુ હતું. આ સાથે જ તેમણે કોંગ્રેસના કાર્યકરોને રાહત કાર્યમાં જોડાવાની અપીલ પણ કરી હતી તથા રાજ્ય સરકાર તમામ અસરગ્રસ્તોને સહાય કરે તેવી વિનંતી પણ કરી હતી. સમગ્ર ઘટના મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તરાખંડની જનતા પ્રત્યે સંવેદના વ્યક્ત કરેલ.
રાહત કાર્ય પૂરજોશમાં
પ્રાથમિક માહિતી અનુસાર, આ હોનારતથી 10,000 લોકો પ્રભાવિત થયાં હોવાની પણ માહિતી મળી રહી છે. તેમાં એવા લોકો પણ છે જે નદીના કાંઠે રહેતા હતા. વળી, એવા મજૂરો પણ છે જે ડેમમાં કામ કરતા હતા. આઇટીબીપી ઉત્તરાખંડ પોલીસ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની ટીમ સ્થળ પર રવાના થઈ છે.
શું બની ઘટના?
ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. રાજ્યના ચમોલીમાં ગ્લેશિયર તૂટી પડતા તબાહી મચી હતી. જિલ્લાના રેણી ગામ નજીક આ ગ્લેશિયર તૂટી પડ્યો હોવાના સમાચારો પ્રાપ્ત થયાં છે, સ્થાનિક વહીવટી તંત્રને સમાચાર મળતા જ ઘટના સ્થળે રાહત કામગીરી પહોંચાડવા તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોના ઘરને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે.