કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાહુલ ગાંધીના રાજીનામા બાદ પાર્ટીના વધુ એક મોટા નેતાએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે. આસામના પ્રભારી અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે કોંગ્રેસ મહાસચિવ પદ પરથી રાજીનામુ આપી દીધું છે. હરીશ રાવતનું કહેવું છે કે આસામમાં મળેલી હારની જવાબદારી લેતા હું રાજીનામુ આપું છું.
એમણે કહ્યું કે આ વખતે અધ્યક્ષ ગાંધી પરિવારથી નહીં હોય. હાલમાં જ દહેરાદૂનમાં બોલાવામાં આવેલી કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં પણ ફૂટ જોવા મળી હતી. જેમા કોંગ્રેસના હરીશ રાવત, પ્રદેશ અધ્યક્ષ પ્રિતમ સિંહ, નેતા પ્રતિપક્ષ ડો.ઇંદિરા હરદેશ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કિશોર ઉપાધ્યાય સહિત પાર્ટીના તમામ પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય પણ હાજર હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત જ્યારે પ્રદેશ કાર્યાલય પહોંચ્યા ત્યારે એમને રિસીવવ કરવા માટે કોઇ મોટા નેતા પહોંચ્યા નહોતા. જે બાદ નારાજ થઇને હરીશ રાવત સીધા પ્રદેશ અધ્યક્ષને મળવા માટે મીટિંગ હોલ પહોંચ્યા હતા.
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ખુલ્લા પત્રમાં પોતાના મનની વાતનો સંકેત આપ્યો હતો. પોતાના ચાર પેજના પત્રમાં એમણે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે પાર્ટીએ કેટલાક કડક નિર્ણય કરવા પડશે. વર્ષ 2019ની હાર માટે ઘણા લોકોએ હારની જવાબદારી લેવી પડશે. સત્તાની તાકાતની તરફ ઇશારો કરતા એમણે કહ્યું કે કોઇપણ તાકાતનો ત્યાગ કરવામાં તૈયાર નથી.
આઝમ ખાનની રાહુલના રાજીનામા પર વિવાદિત ટિપ્પણી
રાહુલ ગાંધીના રાજીનામાને લઈને સાંસદ આઝમ ખાને વિવાદિત ટિપ્પણી કરી છે. આઝમ ખાને કહ્યું કે, રાજીનામુ આપી દેવું એ સમસ્યાનું નિરાકરણ નથી. આમ કરવાથી પાર્ટીની સ્થિતિ વધુ વણસી જશે અને લોકતંત્રને બચાવી શકાશે નહીં. આઝમ ખાને સલાહ આપતા કહ્યું કે, સમગ્ર વિપક્ષે બેલેટ પેપરથી ચૂંટણીની માગને લઈને સંસદમાંથી રાજીનામુ આપી દેવું જોઈએ. રાહુલ ગાંધીના રાજીનામાથી કંઈ નહીં થાય.
કોંગ્રેસ વિપક્ષની સૌથી મોટી પાર્ટી છે. જેથી પહેલ પણ કોંગ્રેસે કરવી જોઈએ. આખા વિપક્ષે એક સાથે સંસદમાંથી રાજીનામુ આપી દેવું જોઈએ. ચૂંટણી ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરાવવામાં આવે. બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે નહીં અમે સાંસદ નહીં રહીએ અને સૌથી પહેલા રાજીનામુ આપવામાં મારૂ નામ હશે. લોકતંત્રની રક્ષા માટે ઈવીએમના બદલે બેલેટ પેપર અપનાવવું જરૂરી છે. સમગ્ર વિશ્વ એવું જ કરી રહ્યું છે, દેશની પણ આ જ માગ છે.