ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું કેબીનેટ વિસ્તરણ હાલના તબક્કે મુલતવી રાખવામાં આવ્યું છે. એવા અહેવાલો પ્રાપ્ત થયાં છે કે, સોમવારે સવારે 11 વાગ્યે યોગી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટ વિસ્તરણનો કાર્યક્રમ હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. કયા કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે તે માટેનું કારણ આપવામાં આવ્યું નથી.
નવા ચહેરાઓને મળી શકે છે સ્થાન
એવી સંભાવના છે કે યોગી સરકાર આગામી કેટલાક દિવસોમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. લગભગ અઢી વર્ષ બાદ આ બીજી વખત થશે જ્યારે યોગી આદિત્યનાથના મંત્રીમંડળમાં એક ડઝનથી વધુ ચહેરાઓને સામેલ કરવામાં આવી શકે છે. માહિતી અનુસાર, ઘણા પ્રધાનોને તેમની કામગીરીના આધારે બઢતી આપવામાં આવશે, જ્યારે કેટલાક મંત્રીઓને હટાવવાની અને કેટલાકના વિભાગને બદલવામાં આવી શકે છે.
રાજ્યપાલને અપાયું સીલબંધ પરબિડીયું
જણાવવામાં આવી રહ્યું છે કે, કેબિનેટ વિસ્તરણને ગૃહ પ્રધાન અમિત શાહ તરફથી લીલી ઝંડી મળી ગયેલ છે. આ સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સીલબંધ પરબિડીયામાં નવા મંત્રીઓના નામ રાજ્યપાલ આનંદીબેન પટેલના હાથમાં સોંપી દીધા છે.
જોવા મળી શકે છે જાતિનું સંતુલન
માનવામાં આવી રહ્યું છે આ કેબિનેટ વિસ્તરણમાં ક્ષેત્રીય અસંતુલને દુર કરવામાં આવશે. આ સાથે જ જાતિના સંતુલનને સાધવામાં આવી શકે છે. એટલે કે એવા વિસ્તારના ચહેરાઓ હશે જેને પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયું નથી.
પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને પૂર્વીય ઉત્તર પ્રદેશથી વધારે ચહેરાઓ હશે જે લોકોની બઢતી નક્કી છે. જેમાં રાજ્ય મંત્રી અથવા સ્વતંત્ર પ્રભાર રાખનારા મહેન્દ્ર સિંહ, ભુપેન્દ્ર સિંહ, અનિલ રાજભર જેવા મંત્રીઓ છે.
મોહસિન રઝાને પણ મળી શકે છે પ્રમોશન
આ સિવાય એકમાત્ર મુસ્લિમ ચહેરો મોહસીન રઝાને પણ પ્રમોશન મળી શકે છે. કેબિનેટ મંત્રીઓમાં બહુ છેડછાડ થશે નહીં પરંતુ કેટલાક લોકોના વિભાગો બદલવામાં આવી શકે છે. માનવામાં આવે છે કે આ યોગી આદિત્યનાથની પસંદગીનું મંત્રી મંડળ હશે. આ જ કારણ છે કે તેમને પોતાની ટીમ પસંદ કરવાની છૂટ આપવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનોમાં બે બ્રાહ્મણ ચહેરા, બે દલિત ચહેરા હશે.