ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં બુધવારે રાત્રે માંગલિક કાર્યક્રમ દરમિયાન મોટો અકસ્માત થયો હતો. કૂવાનો સ્લેબ તૂટી જતાં ડઝનેક લોકો કૂવામાં પડી ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે.
કુશીનગરમાં લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ
હલ્દી સમારોહ વખતે મહિલાઓ કૂવામાં પડી
9 બાળકો અને 2 મહિલા સહિત 11ના મોત
કુશીનગરના નેબુઆ નૌરંગિયા પોલીસ સ્ટેશન વિસ્તારના નૌરંગિયા ગામમાં બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે કૂવામાં રાખેલો સ્લેબ તૂટી પડતાં 22 લોકો કૂવામાં પડી ગયા હતા. આ અકસ્માતમાં બે મહિલાઓ અને નવ બાળકો સહિત 11 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. ઘટના સમયે હલ્દી સેરેમનીની ઉજવણીમાં એક પરિવારમાં ચાલી રહેલા ડાન્સને બધા જોઈ રહ્યા હતા.ઘણા પોલીસ સ્ટેશનના દળો બચાવ કાર્યમાં લાગેલા છે. બાકીના લોકોને કૂવામાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. બાળકો અને મહિલાઓના મોતની જાણ થતાં સમગ્ર ગામમાં ભયનો માહોલ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘટનાસ્થળે DM અને SP પણ પહોંચી ગયા છે. મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કુશીનગર જિલ્લાના નેબુઆ નૌરંગિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુવામાં પડી જવાના અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જિલ્લા પ્રશાસનના અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા અને અકસ્માતમાં ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.
કેવી રીતે બની ગોઝારી ઘટના?
નૌરંગિયાની શાળા ટોલામાં રહેતા પરમેશ્વર કુશવાહાના પુત્રના ગુરૂવારે લગ્ન છે. લગ્નવિધિના ક્રમમાં હળદરની વિધિની રસમને કારણે મહિલાઓ ગામમાં આવેલા કૂવા પર ગઈ હતી. બાળકો પણ તેમની સાથે હતા કેટલાક લોકો કૂવા પર લગાવેલા ઢાંકણા પર રસમ જોવા ચડી ગયા હતા. વધુ વજનને કારણે તે તૂટી ગયું હતું. કુવામાં બાળકો સહિત મહિલાઓ દટાઈ હતી. સીએમએસ ડૉ એસકે વર્માએ જણાવ્યું કે પાંચથી 15 વર્ષની વયના નવ બાળકો અને બે મહિલાઓના મોત થયા છે. બે ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.