દેશભરમાં કોરોનાનો ફુંફાડો વધ્યો છે, અનેક રાજ્યોએ રાત્રિ કર્ફ્યૂ ફરી લાદ્યા છે, તો અનેક રાજ્યોમાં ફરી લૉકડાઉનની સ્થિતિ ઉભી થઈ છે ત્યારે હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોનાની સ્થિતિ મુદ્દે મંથન કરવા માટે તાબડતોબ મહત્વની બેઠક બોલાવી છે.
કોરોનાએ વધાર્યું ટૅન્શન
મુંબઈ, દિલ્હી બાદ ઉત્તર પ્રદેશમાં પણ લાગી શકે છે લૉકડાઉન
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાબડતોબ બોલાવી બેઠક
દિલ્હી બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ વીકએન્ડ કર્ફ્યુ લાદી શકે છે. આજે સાંજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આરોગ્ય સલાહકાર સમિતિ સાથે કોરોનાની સમીક્ષા કરશે. ઉત્તર પ્રદેશમાં વધી રહેલા કેસોને કારણે આજે સાંજે 6.30 કલાકે આ બેઠક યોજાશે.
ઉત્તર પ્રદેશમાં વાગ્યા લૉકડાઉનની ભણકારા
જણાવી દઈએ કે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કોરોના સંક્રમિત થયા છે. વધતા જતા કેસોને અંકુશમાં લેવાના પ્રયાસો વચ્ચે ડીડીએમએની બેઠક બાદ દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ઓમિક્રોનના હળવા હોવાના દાવા છતાં દિલ્હીમાં જે ઝડપે કોરોના ફેલાઈ રહ્યો છે તે ધીમે ધીમે ચિંતાજનક બની રહ્યો છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશમાં પણ લૉકડાઉન કે સખત કોવિડ નિયમોના ભણકારા વાગી રહ્યા છે.
દિલ્હી અને મુંબઈમાં સ્થિતિ બગડી
દિલ્હી સરકારે વધતાં કોરોના કેસના કારણે એક્શન લેવાનું શરૂ કરી દીધું છે હવેથી દિલ્હીમાં વીક એન્ડ કર્ફ્યૂ અને ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમનાં આદેશો આપવામાં આવ્યા છે.બીજી તરફ મુંબઈમાં પણ લૉકડાઉનને લઈને મેયરે સ્પષ્ટ એલાન કરી દીધું છે. કિશોરી પેડનેકરે મોટું એલાન કરતાં કહ્યું છે કે જો દૈનિક કેસનો આંકડો 20 હજારને પાર થઈ જશે તો અમે લૉકડાઉન લગાવી દઇશું.
24 કલાકમાં 37 હજાર 379 નવા કોરોનાના મામલા
કોરોના સંક્રમણ દેશમાં તેજ સ્પીડની સાથે સતત ફેલાઈ રહ્યો છે. આ બાદ એ સવાલ થઈ રહ્યો છે કે શું કોરોનાની ત્રીજી લહેર હવે દેશમાં આવી ચૂકી છે. ગત 24 કલાકમાં 37 હજાર 379 નવા કોરોનાના મામલા સામે આવ્યા છે. જ્યારે 124 લોકોના જીવ ગયા છે. આ બાદ દેશમાં કુલ કોવિડના મામલા વધીને 3 કરોડ 49 લાખ 60 હજાર 261 થઈ ગયા છે તો મરનારની સંખ્યા વધીને 4 લાખ 82 હજાર 14 થઈ ગઈ.
સાજા થનારાની સંખ્યા 3 કરોડ 43 લાખ 6 હજાર 414 થઈ
કોરોનાના સક્રિય મામલા હવે વધીને 1 લાખ 71 હજાર 830 થઈ ગયા છે. અત્યાર સુધી કોરોના સંક્રમણથી સાજા થનારાની સંખ્યા 3 કરોડ 43 લાખ 6 હજાર 414 થઈ ગઈ છે. આ દરમિયાન રસીકરણ સ્પીડમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 146 કરોડ વેક્સીનેશન ડોઝ અપાઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના મામલા વધીને હવે 1892 થઈ ગયા છે. જો કે 766 લોકો સાજા થયા છે. એક દિવસ પહેલા સોમવારે કોરોનાના ગત 24 કલાક દરમિયાન 33 હજાર 750 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે આ દરમિયાન 123 લોકોએ જીવ ગુમાવ્યો છે.
દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આવી ગઈ- એન કે અરોડા
ભારતમાં દર રોજ કોરોનાના મામલા વધી રહ્યા છે અને હવે કોરોના ટાસ્ક ફોર્સના ચીફ એન કે અરોડાએ પોતે જણાવ્યું છે કે દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આવી ચૂકી છે. નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યૂનાઈઝેશનના ચેરમેન અરોડાએ એમ પણ કહ્યું કે ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ વાળા મોટા શહેરોમાં સામે આવી રહ્યા છે.એક ન્યૂઝ ચેનલ સાથે થયેલી વાતચીતમાં ડોક્ટર એન કે અરોડાએ જણાવ્યું કે મુંબઈ, દિલ્હી અને કોલકત્તા જેવા મોટા શહેરોમાં આ તેજીથી ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોન વેરિએન્ટના 75 ટકા કેસ સામે આવી રહ્યા છે. આ વેરિએન્ટ સૌથી પહેલા દક્ષિણ આફ્રીકામાં નવેમ્બર મહિનામાં મળ્યા હતા.