યુપીમાં કોરોનાની બીજી લહેર વધુને વધુ ભયાનક બની રહી છે. ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા રોજબરોજ વધી રહી છે.
યુપીમાં કેસોની સંખ્યા વધી રહી છે
24 કલાકમાં 27426 નવા દર્દીઓ મળી આવ્યા
103 લોકોના મોત પણ થયા છે
શુક્રવારે આવેલા કોરોના કેસની સંખ્યાના કારણે યુપીમાં લોકો અને સરકાર બંનેનું ટેન્શન વધી જાય તેવા સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં, 27426 નવા દર્દીઓ મળી આવ્યા છે. આ અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. જ્યારે ગુરુવારની સંખ્યા સાથે જો સરખામણી કરવામાં આવે તો, તેમાં 4987 વધુ કેસનો ઉમેરો થયો છે. છેલ્લા 24 કલાકમાં 103 લોકોનાં મોત પણ થયાં છે.
લખનૌમાં નોંધાયા રેકોર્ડબ્રેક કેસ
રાજધાની લખનૌના આજે પણ રેકોર્ડબ્રેક કેસ આવ્યા છે. 24 કલાકમાં લખનૌમાં 6598 કેસ નોંધાયા છે. અહીં 35 લોકોનાં મોત નીપજ્યાં છે. પીએમ નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં 2344 નવા કેસ નોંધાયા છે. પ્રયાગરાજમાં 1758 અને કાનપુરમાં 1403 નવા કેસ આવ્યા છે.
રાજ્યમાં ગુરુવારે લખનૌમાં 5183 નવા કેસ, વારાણસીમાં 1859, પ્રયાગરાજમાં 1888 અને કાનપુરમાં 1263 નવા કેસ જોવા મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2,23,307 પરીક્ષણો કરાયા હતા.
ચેપ લાગ્યાં પછી, સ્થિતિ ઝડપથી બગડતી જાય છે.'
આ વખતે સંક્રમણ અત્યંત જીવલેણ સાબિત થઈ રહ્યો છે. મોટાભાગના કેસોમાં ચેપ લાગ્યાં બાદ લોકોની હાલત ઝડપથી બગડતી હોય છે. નવો મ્યુટન્ટ વાયરસ પહેલા કરતા વધુ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તેનો ચેપ એટલો ઝડપથી ફેલાયો છે કે લોકોને સાજા થવા માટેનો પૂરતો સમય નથી મળી રહ્યો. પરીક્ષણનો અહેવાલ આવે તે પહેલા ઘણા લોકો મરી રહ્યા છે. હવે દરરોજ નવા ચેપગ્રસ્તો અને મૃતકોની સંખ્યા વધી રહી છે.
24 કલાકમાં બે મોટી હોસ્પિટલો કોવિડ હોસ્પિટલમાં ફેરવાશે
સીએમ યોગી આદિત્યનાથની સૂચના પર, કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી અને લખનૌની બલરામપુર હોસ્પિટલને આગામી 24 કલાકના સમયમાં કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરવામાં આવશે. સીએમ યોગી આદિત્યનાથે તેની દેખરેખની જવાબદારી તબીબી શિક્ષણ પ્રધાન સુરેશકુમાર ખન્ના અને આરોગ્ય પ્રધાન જય પ્રતાપ સિંઘને આપી છે.