ઉત્તર પ્રદેશમાં આકાશમાંથી વીજળી પડતાં 33 લોકોનાં મોત થયા છે. વીજળી પડતાં કાનપુરમાં 7, ઝાંસીમાં 5, હમીરપુરમાં 3, ફતેપુરમાં 7, રાયબરેલીમાં 2, ચિત્રકુટમાં 1 અને જાલૌનમાં 4 વ્યક્તિનાં મોત થયા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સંબંધિત જિલ્લા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, દરેક મૃતકના પરિવારને રૂપિયા ચાર લાખની આર્થિક સહાય આપવામાં આવે. જ્યારે ઈજાગ્રસ્તોને પણ યોગ્ય સારવાર મળી રહે તે માટે નિર્દેશ આપી દેવાયો છે.
મહત્વનું છે કે, અગાઉ 24 અને 25 જૂનના રોજ પણ વીજળી પડતાં 17 લોકોનાં મોત થયા હતા. જ્યારે વર્ષ 2010થી 2018 સુધીમાં વીજળી પડતાં 22,027 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. એટલે કે અંદાજે વર્ષે 2447 લોકોનાં વીજળી પડવાથી મોત થયાં છે.
કલાઇમેટ રીજિલિએન્ટ ઓબ્જર્વિંગ સિસ્ટન પ્રમોશન કાઉન્સિલ (CROPC)ના ચેરમેને જણાવ્યું કે 2018માં 3000થી વધારે લોકોનાં મોત વીજળી પડવાના કારણે થયા છે. ગત ત્રણ વર્ષમાં વીજળી પડવાના કારણે મૃત્યુ પામનારની સંખ્યામાં 1000નો વધારો થયો છે. બિહારમાં 27 જૂનના રોજ અલગ-અલગ જિલ્લામાં 24 કલાક દરમિયાન વીજળી પડવાથી 30 લોકોનાં મોત નિપજ્યાં છે.