યુપીની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં શરુ થઈ રહેલા નવા શૈક્ષણિક વર્ષમાં ફીમાં વધારો ન કરવાનો મોટો નિર્ણય કર્યો છે.
યુપી સરકારનો મોટો નિર્ણય
યુપીના વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી રાહત
નવા સત્રમાં ફી નહીં વધે
વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી પણ નહીં આપવી પડે
યુપીની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યના વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી રાહત આપી છે. રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો આવતા યોગી સરકારે ધીરે ધીરે સ્કૂલો ખોલીને શૈક્ષણિક કાર્યનો આરંભ કરવાની યોજના બનાવી છે. જેને માટે ગુરુવારે રાજયની તમામ સ્કૂલો માટે આગામી શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ખાસ દિશાનિર્દેશો જારી કરવામાં આવ્યાં છે.
નવા સત્રમાં ફી વધારો નહીં, તમામ બોર્ડની સ્કૂલોમાં લાગુ થશે આદેશ
નવા શૈક્ષણિક સત્રમાં ફી વધારો ન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના દ્વારા જારી આદેશ અનુસાર વિદ્યાર્થીઓ પાસેથી કોઈ નવી ફી નહીં વસૂલવામાં આવે. સરકારે કહ્યું કે તમામ બોર્ડ સંચાલિત સ્કૂલો પર આ નિયમ લાગુ પડશે.
વિદ્યાલય બંધ રહેવાની સ્થિતિમાં પરિવહન ફી પણ નહીં આપવી પડે
રાજ્ય સરકાર વતી તમામ સ્કૂલો માટે જારી થયેલા આદેશમાં કહેવાયું કે કોરોના કાળની વચ્ચે સ્કૂલો બંધ રહેવાની સ્થિતિમાં કોઈ પણ વિદ્યાર્થી કે તેના માતાપિતાએ પરિવહન ફી ચુકવવવાની જરુર નથી. એટલું જ નહીં પરંતુ સ્કૂલ પ્રશાસન ત્રણ મહિનાની ફી એકીસાથે વસૂલવાનું દબાણ નહીં કરી શકે. જો કોઈ માતાપિતા ત્રણ મહિનાની એકીસાથે ચુકવી ન શકે તેવી સ્થિતિમાં હોય તો ત્રણ હપ્તામાં પણ ફી ચુકવી દેવાની સરકારે છૂટ મૂકી છે.
રમત, લાઈબ્રેરી અને વાર્ષિક કાર્યક્રમની સાથે પરીક્ષા ફી ભરવા પર પણ પ્રતિબંધ
યુપીના ઉપમુખ્યમંત્રી દિનેશ શર્માએ જણાવ્યું કે રાજ્યની શાળાઓ નવા સત્રમાં પરીક્ષા ફી પણ નહીં વસૂલી શકે. ઓફલાઈન ભણતર બંધ રહેવાની સ્થિતિમા શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી ફી નહીં વસૂલી શકે. તેની સાથે શાળાઓ દર વર્ષે થનાર રમતગમત, લેબ,લાઈબ્રેરી, કમ્પ્યુટર અને વાર્ષિક ફંક્શન જેવી ગતિવિધિઓની ફી પણ નહીં વસૂલી શકે.